ઈશ્વરની સેવા એ જ તેની દવા છે!
કેન્યામાં પ્રચાર વખતે બે પાયોનિયરોને એક ઘરમાં અંદર બોલાવવામાં આવ્યા. ત્યાં તેઓ એક માણસને પથારીમાં જોઈને ઘણા ચોંકી ગયા. કારણ કે, તેનું ધડ અને હાથ બહુ જ નાનાં હતાં. તેઓએ તેને ઈશ્વરનું વચન બતાવ્યું કે, “લંગડો હરણની પેઠે કૂદશે.” એ સાંભળીને તેને ખૂબ જ ખુશી થઈ અને તેના ચહેરા પર મોટું સ્મિત આવી ગયું.—યશા. ૩૫:૬.
પાયોનિયરોને જાણવા મળ્યું કે આશરે ૩૮ વર્ષની એ વ્યક્તિનું નામ ઑનેસમસ છે. તેમને જન્મથી જ હાડકાંની એક પ્રકારની બીમારી છે. એના લીધે તેમના હાડકાં એટલાં નાજુક બની ગયાં છે કે જરાક દબાણ પણ હાડકાંને ભાંગી શકે. આ બીમારીની કોઈ દવા કે સારવાર ન હોવાથી, ઑનેસમસને લાગતું કે તેમને આખું જીવન આમ જ દુઃખમાં અને વ્હીલચૅર પર વિતાવવું પડશે.
ઑનેસમસે બાઇબલ અભ્યાસ કરવાનું શરૂ કર્યું. પરંતુ, તેમની મમ્મીએ એમ કહીને વાંધો ઉઠાવ્યો કે સભાઓમાં આવવા-જવાથી તેમને વધારે ઈજા અને પીડા થઈ શકે છે. તેથી, ભાઈઓ સભાઓનું રેકૉર્ડિંગ લાવીને ઑનેસમસને સંભળાવતા. પાંચ મહિનાના અભ્યાસ પછી ઑનેસમસે નક્કી કર્યું કે, ભલે જોખમી હોય તોપણ તે સભાઓમાં જશે.
શું સભાઓમાં જવાથી ઑનેસમસના દુઃખમાં વધારો થયો? ના. એની જગ્યાએ તે તો સારું અનુભવતા. ઑનેસમસ જણાવે છે કે ‘સભાઓમાં જવાથી મારું દર્દ ઓછું થતું હોય એમ લાગતું.’ તેમના વિચાર પ્રમાણે સારું લાગવા પાછળનું કારણ તેમને મળેલી નવી આશા હતી. તેમના મમ્મી પણ દીકરાના સ્વભાવમાં આવેલું સારું બદલાણ જોઈ શક્યાં. તેમ જ, ખુશ થઈને તેમણે પણ બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો. તે પોતાના દીકરા વિશે કહે છે: ‘ઈશ્વરની સેવા એ જ તેની દવા છે!’
થોડા જ સમયમાં ઑનેસમસ બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક બન્યા. એ પછી, તેમણે ટૂંક સમયમાં બાપ્તિસ્મા લીધું. હવે તે સેવકાઈ ચાકર છે. ભલે તેમના પગ અને એક હાથ સાથ ન આપે, તોપણ તેમને દેવની સેવામાં બનતું બધું કરવાની ધગસ છે. તે સહાયક પાયોનિયરીંગ કરવાનું ઇચ્છતા હતા પણ, ફોર્મ ભરવામાં તેમને સંકોચ થતો. શા માટે? કારણ, તે જાણતા હતા કે વ્હીલ-ચૅરને ખસેડવા તેમને બીજાઓ પર આધાર રાખવો પડશે. એ ચિંતા વિશે તેમણે ભાઈઓને જણાવ્યું ત્યારે ભાઈઓએ મદદ કરવાની ખાતરી આપી. તેઓએ મદદ આપી અને ઑનેસમસ સહાયક પાયોનિયરીંગ કરી શક્યા.
ઑનેસમસને તો નિયમિત પાયોનિયરીંગ કરવાની પણ ઇચ્છા હતી. પરંતુ, તેમની સામે એ જ પ્રશ્ન હતો. એ સમયે તેમને દરરોજના શાસ્ત્રવચનમાંથી જરૂરી ઉત્તેજન અને હિંમત મળ્યાં. એ વચન ગીતશાસ્ત્ર ૩૪:૮માંથી હતું જે કહે છે: “અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે.” એ વચન પર મનન કર્યા પછી ઑનેસમસે નિર્ણય લીધો કે તે નિયમિત પાયોનિયરીંગ કરશે. હાલમાં, તે અઠવાડિયાના ચાર દિવસ ખુશખબર જણાવવા જાય છે. અરે, તેમના ઘણા બાઇબલ વિદ્યાર્થીઓ સારી પ્રગતિ કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૦માં તેમને પાયોનિયર સ્કૂલમાં તાલીમ મળી. ત્યાં, શીખવતા ભાઈઓમાંના એક તો ઑનેસમસને શરૂઆતમાં ખુશખબર આપવા આવેલામાંના હતા. ઑનેસમસ માટે તેમની પાસેથી શીખવું ઘણું ઉત્તેજન આપનારું હતું.
ઑનેસમસનાં માતા-પિતા ગુજરી ગયાં છે. હવે તેમની સંભાળ મંડળનાં ભાઈ-બહેનો રાખે છે. ઑનેસમસ એ બધા આશીર્વાદો માટે યહોવાને ઘણા આભારી છે. તે હવે એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.”—યશા. ૩૩:૨૪.