પાઠ ૧૫
ઈસુ કોણ છે?
ઘણા લોકોએ ઈસુ વિશે સાંભળ્યું છે. પણ મોટા ભાગના લોકો તેમના નામ સિવાય બીજું કંઈ નથી જાણતા. ઈસુ કોણ છે એ વિશે લોકોના અલગ અલગ વિચારો છે. ચાલો બાઇબલમાંથી જોઈએ કે ઈસુ કોણ છે.
૧. ઈસુ કોણ છે?
ઈસુ સ્વર્ગમાં રહે છે. તે ખૂબ જ શક્તિશાળી છે. આપણે તેમને જોઈ નથી શકતા, કેમ કે તેમને માણસો જેવું શરીર નથી. યહોવાએ સૃષ્ટિમાં સૌથી પહેલા ઈસુને બનાવ્યા હતા. એટલે તેમને “આખી સૃષ્ટિમાં પ્રથમ જન્મેલા” કહેવામાં આવે છે. (કોલોસીઓ ૧:૧૫) બાઇબલ તેમને “એકનો એક દીકરો” પણ કહે છે, કેમ કે ફક્ત ઈસુ જ એવા છે જેમને યહોવાએ પોતે બનાવ્યા હતા. (યોહાન ૩:૧૬) યહોવાએ સૃષ્ટિની બીજી બધી વસ્તુઓ બનાવી ત્યારે, ઈસુ તેમની સાથે જ હતા અને તેમને મદદ કરતા હતા. (નીતિવચનો ૮:૩૦ વાંચો.) એટલે યહોવા અને ઈસુનો સંબંધ એકદમ ગાઢ છે. ઈસુ “શબ્દ” તરીકે પણ ઓળખાય છે, કેમ કે એક વફાદાર સેવકની જેમ તે યહોવાનો સંદેશો અને તેમનું માર્ગદર્શન બીજાઓને જણાવે છે.—યોહાન ૧:૧૪.
૨. ઈસુ પૃથ્વી પર કેમ આવ્યા?
આશરે ૨,૦૦૦ વર્ષ પહેલાં ઈસુ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા હતા. કઈ રીતે? યહોવાના ચમત્કારથી. તેમણે પોતાની પવિત્ર શક્તિ દ્વારા ઈસુનું જીવન કુંવારી મરિયમના ગર્ભમાં મૂક્યું. આ રીતે ઈસુનો મનુષ્ય તરીકે જન્મ થયો. (લૂક ૧:૩૪, ૩૫ વાંચો.) ઈસુ પૃથ્વી પર આવ્યા, જેથી તે મસીહ અથવા ખ્રિસ્ત બની શકે અને બધાનું જીવન બચાવી શકે.a ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં બાઇબલમાં મસીહ વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી અને એ બધી સાચી પડી. એનાથી લોકો સાફ જોઈ શક્યા કે ઈસુ જ ‘ખ્રિસ્ત, જીવતા ઈશ્વરના દીકરા’ છે.—માથ્થી ૧૬:૧૬.
૩. ઈસુ હમણાં ક્યાં છે?
પૃથ્વી પર ઈસુનું મરણ થયું ત્યારે યહોવાએ તેમને ફરી જીવતા કર્યા. તેમણે ઈસુને માણસો જેવા હાડ-માંસના શરીરમાં નહિ, પણ સ્વર્ગદૂત તરીકે જીવતા કર્યા. થોડા સમય પછી તે સ્વર્ગમાં પાછા ગયા. ત્યાં યહોવાએ “તેમને વધારે ઊંચી પદવી આપી.” (ફિલિપીઓ ૨:૯) આજે યહોવા પછી સૌથી વધારે અધિકાર અને તાકાત ઈસુ પાસે છે.
વધારે જાણો
ઈસુ વિશે વધારે શીખો. એ પણ જુઓ કે ઈસુ વિશે શીખવું કેમ જરૂરી છે.
૪. ઈસુ ભગવાન નથી
બાઇબલમાં લખ્યું છે કે સ્વર્ગમાં ઈસુ પાસે ઘણો અધિકાર અને તાકાત છે. તોપણ તે પોતાના પિતા યહોવાને આધીન છે. બાઇબલમાં જણાવ્યું છે કે ઈસુ અને ઈશ્વર એક નથી, પણ અલગ અલગ છે. કઈ રીતે? એ જાણવા આ વીડિયો જુઓ.
અહીં આપેલી કલમો એ સમજવા મદદ કરશે કે ઈસુ કઈ રીતે ઈશ્વર યહોવા કરતાં અલગ છે. એ કલમો વાંચો અને એની નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
લૂક ૧:૩૦-૩૨ વાંચો.
દૂતના શબ્દોથી કઈ રીતે જોવા મળે છે કે ઈસુ અને ‘સર્વોચ્ચ ઈશ્વર’ યહોવા અલગ અલગ છે?
માથ્થી ૩:૧૬, ૧૭ વાંચો.
જ્યારે ઈસુનું બાપ્તિસ્મા થયું ત્યારે સ્વર્ગમાંથી કેવી વાણી સંભળાઈ?
એ કોનો અવાજ હતો?
યોહાન ૧૪:૨૮ વાંચો.
કુટુંબમાં પિતા અને દીકરામાંથી કોણ મોટું હોય છે? કોની પાસે વધારે અધિકાર હોય છે?
ઈસુએ યહોવાને પોતાના પિતા કહ્યા. એનાથી શું ખબર પડે છે?
યોહાન ૧૨:૪૯ વાંચો.
શું ઈસુને એવું લાગતું હતું કે તે અને પિતા એક જ છે? તમને શું લાગે છે?
૫. શાનાથી સાબિત થાય છે કે ઈસુ જ મસીહ છે?
માણસજાતને બચાવવા ઈશ્વરે જેમને પસંદ કર્યા, તેમને મસીહ કહેવામાં આવે છે. લોકો મસીહને ઓળખી શકે એ માટે ઈશ્વરે બાઇબલમાં ઘણી બધી ભવિષ્યવાણીઓ લખાવી. ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે સાબિત થયું કે ઈસુ જ એ મસીહ છે. એ વિશે જાણવા આ વીડિયો જુઓ.
બાઇબલમાં આપેલી ભવિષ્યવાણીઓ વાંચો. પછી એની નીચે આપેલા સવાલોની ચર્ચા કરો:
મીખાહ ૫:૨ વાંચો અને જુઓ કે મસીહનો જન્મ ક્યાં થવાનો હતો.b
ભવિષ્યવાણીમાં જે જગ્યા વિશે જણાવ્યું છે, શું એ જ જગ્યાએ ઈસુનો જન્મ થયો?—માથ્થી ૨:૧.
ગીતશાસ્ત્ર ૩૪:૨૦ અને ઝખાર્યા ૧૨:૧૦ વાંચો અને જુઓ કે મસીહના મરણ વિશે કઈ કઈ ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી.
શું એ ભવિષ્યવાણીઓ સાચી પડી?—યોહાન ૧૯:૩૩-૩૭.
શું ઈસુએ પહેલેથી પોતાના દુશ્મનોને કહ્યું હશે કે તેમના મરણ પછી તેમની સાથે શું કરવું?
આ ભવિષ્યવાણીઓથી ઈસુ વિશે શું સાબિત થાય છે?
૬. ઈસુ વિશે શીખવાથી આપણું ભલું થાય છે
બાઇબલમાં જણાવ્યું છે કે ઈસુ વિશે શીખવું ખૂબ જરૂરી છે. એ જાણવું પણ જરૂરી છે કે ઈશ્વરે તેમને કયું કામ સોંપ્યું છે. યોહાન ૧૪:૬ અને ૧૭:૩ વાંચો. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો:
ઈસુ વિશે શીખવું કેમ જરૂરી છે?
ઈસુ જ માર્ગ, સત્ય અને જીવન છે. આપણે ઈશ્વરના દોસ્ત બની શકીએ એ માટે ઈસુએ માર્ગ બતાવ્યો. તેમણે યહોવા વિશે સત્ય શીખવ્યું. તેમના દ્વારા જ આપણને હંમેશ માટેનું જીવન મળી શકે છે
અમુક લોકો કહે છે: “યહોવાના સાક્ષીઓ ઈસુમાં નથી માનતા.”
જો કોઈ તમને એવું કહે તો તમે શું કહેશો?
આપણે શીખી ગયા
ઈસુ શક્તિશાળી છે અને તેમને માણસો જેવું શરીર નથી. તે ઈશ્વરના દીકરા અને મસીહ છે.
તમે શું કહેશો?
ઈસુને કેમ “આખી સૃષ્ટિમાં પ્રથમ જન્મેલા” કહેવામાં આવ્યા છે?
પૃથ્વી પર આવ્યા એ પહેલાં ઈસુએ કેવાં કેવાં કામ કર્યાં હતાં?
આપણે કેમ કહી શકીએ કે ઈસુ જ મસીહ છે?
વધારે માહિતી
આપણે કેમ કહી શકીએ કે ઈસુ જ મસીહ છે?
“શું બાઇબલની ભવિષ્યવાણીઓ બતાવે છે કે ઈસુ જ મસીહ છે?” (jw.org/gu પર આપેલો લેખ)
બાઇબલમાંથી જાણો કે ઈશ્વર કઈ રીતે ઈસુના પિતા છે.
“ઈસુને કેમ ઈશ્વરના દીકરા કહેવામાં આવે છે?” (jw.org/gu પર આપેલો લેખ)
એક સ્ત્રી બાઇબલમાંથી ઈસુ વિશે શીખી. એનાથી તેનું જીવન બદલાઈ ગયું. કઈ રીતે? એ જાણવા આ લેખ વાંચો.
“એક યહૂદી સ્ત્રીએ કેમ પોતાની માન્યતા બદલી?” (સજાગ બનો!નો લેખ)