બાઇબલ શું કહે છે?
પોર્નોગ્રાફી
શું બાઇબલ પોર્નોગ્રાફીને ધિક્કારે છે?
“સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.”—માથ્થી ૫:૨૮.
એ જાણવું કેમ મહત્ત્વનું છે? પોર્નોગ્રાફી એટલે કે અશ્લીલ ચલચિત્રો અથવા સાહિત્ય પહેલાં કરતાં આજે અનેક ગણા પ્રખ્યાત છે અને સહેલાઈથી મળી આવે છે. જો તમે ઈશ્વરને ખુશ કરવા અને સુખી જીવન ઇચ્છતા હો, તો તમારે જાણવું જોઈએ કે પોર્નોગ્રાફી વિશે ઈશ્વરના વિચારો શું છે.
બાઇબલ શું કહે છે? પોર્નોગ્રાફી વિશે બાઇબલ સીધેસીધું કંઈ જણાવતું નથી. તોપણ, એ બાઇબલના ઘણા સિદ્ધાંતોની વિરુદ્ધમાં છે.
દાખલા તરીકે, બાઇબલ સાફ ચેતવણી આપે છે કે પરિણીત પુરુષ, લગ્નસાથી ન હોય એવી ‘સ્ત્રી ઉપર ખોટી નજર કરે’ અને તે સ્ત્રી સાથે શરીર સંબંધ બાંધવાની ઇચ્છાને પોષે તો, એ વ્યભિચાર તરફ દોરી જઈ શકે. પરણેલા કે કુંવારા જે કોઈ અશ્લીલ ચલચિત્રો જોઈને અનૈતિક ઇચ્છાઓ રાખે છે, તે બધાને બાઇબલનો એ સિદ્ધાંત લાગુ પડે છે. આવું વર્તન ઈશ્વરને જરાય પસંદ નથી.
વ્યભિચાર તરફ દોરી જતી ન હોય તોપણ શું પોર્નોગ્રાફી ખોટી કહેવાય?
[પાન ૧૫ પર ચિત્રનું મથાળું]
‘તમારા અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઇચ્છા તથા દ્રવ્યલોભને મારી નાખો.’
લોકો શું કહે છે? અમુક નિષ્ણાતોનું માનવું છે કે પોર્નોગ્રાફી અને વ્યભિચાર વચ્ચે કોઈ સંબંધ નથી. તો પછી, પોર્નોગ્રાફી જોવામાં અનૈતિક શું છે?
બાઇબલ શું કહે છે? બાઇબલ ‘નિર્લજ્જ વાતોને’ પણ અનૈતિક કહે છે. (એફેસી ૫:૩, ૪) તો પછી, પોર્નોગ્રાફી કઈ રીતે યોગ્ય કહેવાય? આજે પોર્નોગ્રાફીના વિડીયોમાં મોટા ભાગે વ્યભિચાર, સજાતીય સંબંધ અને બીજાં અનૈતિક કામોનો સમાવેશ થાય છે. ચોક્કસ, જો ઈશ્વર નિર્લજ્જ વાતોથી નાખુશ થતા હોય, તો આવાં અનૈતિક કામોને વાસનાભરી રીતે જોનારને તે વધારે ધિક્કારે છે.
નિષ્ણાતો હજી વિવાદ કરે છે કે લોકો કામાતુર ઇચ્છાઓ પ્રમાણે વર્તે છે એની પાછળ પોર્નોગ્રાફીનો હાથ હોય શકે. પણ બાઇબલ સ્પષ્ટ રીતે જણાવે છે કે પોર્નોગ્રાફી જોવાથી ઈશ્વર નાખુશ થાય છે અને તેમની સાથેનો સંબંધ તૂટી જાય છે. બાઇબલ ચેતવણી આપે છે: ‘તમારા અવયવો એટલે વ્યભિચાર અને વિષયવાસનાને મારી નાખો.’ (કોલોસી ૩:૫) પોર્નોગ્રાફી જોનાર એની એકદમ વિરુદ્ધનું કરે છે, આવી ઇચ્છાઓ મારી નાખવાને બદલે તે એને પોષે છે અને વધારે ભડકાવે છે.
પોર્નોગ્રાફીથી દૂર રહેવા તમને શું મદદ કરી શકે?
‘ભલું શોધો, ભૂંડું નહિ. ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો.’—આમોસ ૫:૧૪, ૧૫.
બાઇબલ શું કહે છે? બાઇબલ જણાવે છે કે લંપટો, દારૂડિયાઓ અને ચોરો પોતાની નુકસાનકારક આદતમાંથી છૂટી શક્યા છે. (૧ કોરીંથી ૬:૯-૧૧) કઈ રીતે? તેઓ બાઇબલનું જ્ઞાન લાગુ પાડીને જે ખોટું છે એને ધિક્કારતા શીખ્યા છે.
આ નુકસાનકારક ટેવના ખરાબ પરિણામો વિશે ધ્યાનથી વિચારવાથી પોર્નોગ્રાફીને ધિક્કારતા શીખી શકાય. ઊથા સ્ટેટ યુનિવર્સિટીએ બહાર પાડેલો તાજેતરનો અહેવાલ જણાવે છે કે, પોર્નોગ્રાફી જોનાર કેટલાક લોકો આવી બાબતોનો ભોગ બને છે: “ડિપ્રેશન, એકલા-અટૂલા રહેવું, સંબંધોમાં તિરાડ” અને બીજાં કેટલાંક ખરાબ પરિણામો. એથી પણ વધારે, આગળ જોઈ ગયા તેમ પોર્નોગ્રાફીને લીધે ઈશ્વર નાખુશ થાય છે. આમ, પોર્નોગ્રાફી મનુષ્યોને તેઓના સર્જનહારથી વિખૂટા પાડે છે.
બાઇબલ આપણને જે સારું છે એને ચાહતા શીખવી શકે. જેમ વધારે બાઇબલ વાંચીશું તેમ એમાં આપેલા સિદ્ધાંતો માટે આપણો પ્રેમ વધશે. એ પ્રેમ આપણને પોર્નોગ્રાફીથી દૂર રહેવા પ્રેરશે. તેમ જ, ગીતશાસ્ત્રના એક લેખકે જે કર્યું એવું જ અનુભવવા મદદ કરશે. તેમણે લખ્યું: “હું કંઈ અધમ વસ્તુ મારી દૃષ્ટિમાં રાખીશ નહિ.”—ગીતશાસ્ત્ર ૧૦૧:૩. ◼ (g13-E 03)
[પાન ૧૪ પર ચિત્ર]