સોમવાર, જુલાઈ ૨૮
“તમને સાથ આપનાર ઈશ્વર, દુનિયાને સાથ આપનાર શેતાન કરતાં વધારે શક્તિશાળી છે.”—૧ યોહા. ૪:૪.
ડર લાગે ત્યારે મનન કરજો કે યહોવા ભાવિમાં શું કરવાના છે, જ્યારે શેતાનનું નામનિશાન મિટાવી દેવામાં આવશે. ૨૦૧૪ના મહાસંમેલનમાં એક દૃશ્ય દ્વારા બતાવવામાં આવ્યું હતું કે એક પિતા તેમના કુટુંબ સાથે ચર્ચા કરી રહ્યા હતા કે જો બીજો તિમોથી ૩:૧-૫માં એ જણાવ્યું હોત કે નવી દુનિયામાં આપણું જીવન કેવું હશે, તો ત્યાં આવું લખ્યું હોત: “નવી દુનિયામાં ખુશીઓથી ભરેલા દિવસો હશે. કેમ કે લોકો બીજાઓને પ્રેમ કરનારા, સત્યને પ્રેમ કરનારા, પોતાની હદમાં રહેનારા, નમ્ર, ઈશ્વરની સ્તુતિ કરનારા, મા-બાપની આજ્ઞા પાળનારા, આભાર માનનારા, વફાદાર, કુટુંબ માટે ઊંડો પ્રેમ બતાવનારા, ખુલ્લા દિલે વાત કરનારા, બીજાઓ વિશે હંમેશાં સારું બોલનારા, સંયમ રાખનારા, શાંત સ્વભાવના, ભલાઈને ચાહનારા, વિશ્વાસુ, જતું કરનારા, મનથી દીન રહેનારા, મોજશોખને બદલે ઈશ્વરને પ્રેમ કરનારા અને સાચા દિલથી ઈશ્વરની ભક્તિ કરનારા હશે. એવા લોકોની નજીક રહેજો.” શું તમે કુટુંબીજનો અથવા ભાઈ-બહેનો સાથે ચર્ચા કરો છો કે નવી દુનિયામાં જીવન કેવું હશે? w૨૪.૦૧ ૬ ¶૧૩-૧૪
મંગળવાર, જુલાઈ ૨૯
“મેં તને પસંદ કર્યો છે.”—લૂક ૩:૨૨.
આપણને એ જાણીને કેટલી રાહત મળે છે કે યહોવાની કૃપા તેમના બધા સેવકો પર છે. બાઇબલમાં લખ્યું છે: “યહોવા પોતાના લોકોથી રાજી થાય છે.” (ગીત. ૧૪૯:૪) જોકે, ક્યારેક ક્યારેક અમુક ઈશ્વરભક્તો એટલા નિરાશ થઈ જાય છે કે તેઓ વિચારવા લાગે: ‘શું યહોવા મારાથી ખુશ છે?’ બાઇબલ સમયના ઘણા ઈશ્વરભક્તોને અમુક વાર એવું જ લાગ્યું હતું અને તેઓ નિરાશ થઈ ગયા હતા. (૧ શમુ. ૧:૬-૧૦; અયૂ. ૨૯:૨, ૪; ગીત. ૫૧:૧૧) બાઇબલમાંથી સાફ જોવા મળે છે કે કાળાં માથાંના માનવીઓ પણ યહોવાની કૃપા મેળવી શકે છે અથવા તેમને ખુશ કરી શકે છે. કઈ રીતે? ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા મૂકીને અને બાપ્તિસ્મા લઈને. (યોહા. ૩:૧૬) એમ કરીને બીજાઓને બતાવી આપીએ છીએ કે આપણે પાપનો પસ્તાવો કર્યો છે અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવાનું તેમને વચન આપ્યું છે. (પ્રે.કા. ૨:૩૮; ૩:૧૯) યહોવા સાથે સંબંધ કેળવવા જ્યારે એ બધાં પગલાં ભરીએ છીએ, ત્યારે તેમને બહુ ખુશી થાય છે. આપણે જ્યાં સુધી સમર્પણના વચન પ્રમાણે જીવવા બનતું બધું કરીશું, ત્યાં સુધી યહોવાની કૃપા આપણાં માથે રહેશે અને તે આપણને તેમના પાકા મિત્ર ગણશે.—ગીત. ૨૫:૧૪. w૨૪.૦૩ ૨૬ ¶૧-૨
બુધવાર, જુલાઈ ૩૦
“અમે જે જોયું છે અને સાંભળ્યું છે, એ વિશે અમે ચૂપ રહી શકતા નથી.”—પ્રે.કા. ૪:૨૦.
જો સરકાર પ્રચાર કરવાની ના પાડે, તોપણ આપણે ઈસુના શિષ્યોને અનુસરીને પ્રચાર કામ ચાલુ રાખી શકીએ. આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવા આપણને પ્રચાર કરવા મદદ કરશે. તેથી, આપણે યહોવાને હિંમત અને બુદ્ધિ માટે પ્રાર્થના કરી શકીએ. તેમ જ, મુશ્કેલીઓનો સામનો કરવા મદદ માંગી શકીએ. આપણામાંથી ઘણા લોકો બીમારી અથવા બીજા કોઈ કારણે નિરાશ છે. બની શકે કે આપણે કોઈ સ્નેહીજનને ગુમાવ્યું હોય, કુટુંબમાં કોઈ તકલીફ હોય, વિરોધ થઈ રહ્યો હોય અથવા બીજી કોઈ મુશ્કેલી હોય. અધૂરામાં પૂરું, મહામારી અને યુદ્ધોના લીધે એ મુશ્કેલીઓ સહેવી ઘણી અઘરી થઈ ગઈ છે. એવામાં યહોવાને દિલ ખોલીને વાત કરો. જેમ તમે તમારા પાકા મિત્રને દિલની બધી જ વાત જણાવો છો, તેમ યહોવાને જણાવો કે તમારા પર શું વીતી રહ્યું છે, તમે કેવું અનુભવી રહ્યા છો. પૂરો ભરોસો રાખો કે યહોવા ‘તમારા માટે પગલાં ભરશે.’ (ગીત. ૩૭:૩, ૫) પ્રાર્થના કરતા રહેવાથી “મુસીબતો આવે ત્યારે ધીરજથી સહન” કરી શકીશું. (રોમ. ૧૨:૧૨) યહોવા જાણે છે કે તેમના ભક્તો પર શું વીતી રહ્યું છે. તે તેઓની ‘મદદનો પોકાર સાંભળે’ છે.—ગીત. ૧૪૫:૧૮, ૧૯. w૨૩.૦૫ ૫-૬ ¶૧૨-૧૫