શુક્રવાર, સપ્ટેમ્બર ૧૨
“આ દુનિયાનું દૃશ્ય બદલાઈ રહ્યું છે.”—૧ કોરીં. ૭:૩૧.
તમારી શાખ વાજબી વ્યક્તિ તરીકેની હોય. પોતાને પૂછો: ‘લોકો મારા વિશે શું વિચારે છે? શું હું વાજબી છું? શું હું નમવા કે ફેરફારો કરવા તૈયાર છું? કે પછી લોકો મને કઠોર અને જિદ્દી સમજે છે? શું હું તેઓની વાત સાંભળું છું અને યોગ્ય હોય ત્યારે તેઓની વાત માનું છું?’ જેટલા વધારે વાજબી હોઈશું, એટલું વધારે યહોવા અને ઈસુનું અનુકરણ કરી શકીશું. સંજોગો બદલાય ત્યારે વાજબી બનવાની જરૂર છે, એટલે કે સંજોગો પ્રમાણે પોતાને ઢાળવાની જરૂર છે. અમુક ફેરફારોને લીધે આપણા સામે એવી મુશ્કેલી આવે, જેના વિશે વિચાર્યું પણ ન હોય. કદાચ અચાનક તબિયત બગડી જાય. અથવા આર્થિક કે રાજકીય ફેરફારોને લીધે રાતોરાત આપણું જીવન અઘરું બની જાય. (સભા. ૯:૧૧) એવું પણ બને કે યહોવાની સેવામાં આપણી સોંપણી બદલાઈ જાય. જો આ ચાર પગલાં ભરીશું, તો નવા સંજોગોમાં પોતાને ઢાળવા સહેલું થઈ જશે: (૧) હકીકત સ્વીકારો, (૨) પહેલાં જે કરી શકતા હતા એનો વિચાર કરવાને બદલે હમણાં શું કરી શકો છો એના પર ધ્યાન આપો, (૩) સારી વાતો પર મન લગાડો અને (૪) બીજાઓ માટે કંઈક કરો. w૨૩.૦૭ ૨૧-૨૨ ¶૭-૮
શનિવાર, સપ્ટેમ્બર ૧૩
“તું અતિ પ્રિય છે.”—દાનિ. ૯:૨૩.
બાબેલોનીઓ પ્રબોધક દાનિયેલને ગુલામ બનાવીને લઈ ગયા, ત્યારે તે યુવાન હતા. તેઓ તેમને પોતાના ઘર યરૂશાલેમથી ખૂબ દૂર બાબેલોન લઈ ગયા. ભલે દાનિયેલ યુવાન હતા, પણ બાબેલોનના અધિકારીઓનું ધ્યાન તેમના પર ગયું. તેઓએ તેમનો “બહારનો દેખાવ” જોયો, એટલે કે તેઓએ જોયું કે દાનિયેલ “ખોડખાંપણ વગરના અને દેખાવડા” હતા તેમજ ઉચ્ચ કુળના હતા. (૧ શમુ. ૧૬:૭) એટલે બાબેલોનીઓએ તેમને તાલીમ આપી, જેથી તે રાજાના મહેલમાં સેવા કરી શકે. (દાનિ. ૧:૩, ૪, ૬) યહોવા દાનિયેલને પ્રેમ કરતા હતા. કેમ કે, તેમણે યહોવાને વફાદાર રહેવાનું પસંદ કર્યું હતું. હકીકતમાં જ્યારે યહોવાએ દાનિયેલ વિશે કહ્યું કે તે નૂહ અને અયૂબ જેવા છે, ત્યારે તે વીસેક વર્ષના જ હતા. આમ યહોવાએ યુવાન દાનિયેલને નૂહ અને અયૂબની જેમ નેક ગણ્યા, જેઓએ વર્ષો સુધી યહોવાની ભક્તિ વફાદારીથી કરી હતી. (ઉત. ૫:૩૨; ૬:૯, ૧૦; અયૂ. ૪૨:૧૬, ૧૭; હઝકિ. ૧૪:૧૪) દાનિયેલ લાંબું જીવન જીવ્યા અને તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. પણ યહોવા હંમેશાં દાનિયેલને પ્રેમ કરતા રહ્યા.—દાનિ. ૧૦:૧૧, ૧૯. w૨૩.૦૮ ૨ ¶૧-૨
રવિવાર, સપ્ટેમ્બર ૧૪
‘સત્યની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈ પૂરી રીતે સમજો.’—એફે. ૩:૧૮.
જ્યારે તમે એક ઘર ખરીદવા માંગો છો, ત્યારે તમે પોતે એ ઘરમાં જઈને એની તપાસ કરશો. બાઇબલ વાંચીએ છીએ અને એનો અભ્યાસ કરીએ છીએ ત્યારે, આપણે એવું જ કરીએ છીએ. જો ફટાફટ બાઇબલ વાંચી જઈશું, તો કદાચ ઉપરછલ્લી જ માહિતી મળશે, એટલે કે “ઈશ્વરનાં પવિત્ર વચનોનું મૂળ શિક્ષણ” જ જાણી શકીશું. (હિબ્રૂ. ૫:૧૨) જેમ ઘર વિશે જાણવા એની અંદર જવું જરૂરી છે, તેમ બાઇબલને પૂરી રીતે સમજવા એનો ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે. અભ્યાસ કરવાની સૌથી સારી રીત છે, બાઇબલનો એક ભાગ બીજા ભાગ સાથે કઈ રીતે જોડાયેલો છે એ જુઓ. અભ્યાસ કરતી વખતે એ સમજવાની કોશિશ કરો કે તમે શું માનો છો અને કેમ માનો છો. બાઇબલને પૂરી રીતે સમજવા એમાં રહેલા ઊંડા શિક્ષણનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. પ્રેરિત પાઉલે ખ્રિસ્તી ભાઈ-બહેનોને વિનંતી કરી કે તેઓ ઈશ્વરના વચનનો સારી રીતે અભ્યાસ કરે, જેથી તેઓ સત્યની ‘પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈ પૂરી રીતે સમજી શકે.’ એમ કરવાથી તેઓનાં ‘મૂળ ઊંડાં ઊતર્યાં’ હોત અને તેઓ “શ્રદ્ધાના પાયાને વળગી” રહ્યા હોત. (એફે. ૩:૧૪-૧૯, ફૂટનોટ) આપણે પણ એવું જ કરવું જોઈએ. w૨૩.૧૦ ૧૮-૧૯ ¶૧-૩