પાઠ ૯૨
પ્રેરિતોને ઈસુ ફરી દેખાયા
પ્રેરિતોને ઈસુ દેખાયા એના થોડા સમય પછી, પિતરે ગાલીલ સરોવરમાં માછલી પકડવા જવાનું નક્કી કર્યું. તેમની સાથે થોમા, યાકૂબ, યોહાન અને બીજા અમુક શિષ્યો પણ ગયા. તેઓએ આખી રાત માછલી પકડવાની કોશિશ કરી, પણ તેઓના હાથમાં એક પણ માછલી આવી નહિ.
બીજે દિવસે વહેલી સવારે તેઓએ સરોવર કિનારે એક માણસ જોયો. એ માણસે બૂમ પાડીને તેઓને પૂછ્યું: ‘શું તમને માછલીઓ મળી?’ તેઓએ કહ્યું: “ના!” એ માણસે કહ્યું: “હોડીની જમણી બાજુ જાળ નાખો.” તેઓએ એમ કર્યું ત્યારે, જાળમાં એટલી બધી માછલીઓ પકડાઈ કે તેઓ એને ખેંચી શકતા ન હતા. અચાનક યોહાનને ખ્યાલ આવ્યો કે એ માણસ ઈસુ છે. તેમણે કહ્યું: “એ તો માલિક છે!” એ સાંભળતા જ પિતર પાણીમાં કૂદી પડ્યા અને તરીને કિનારે ગયા. બાકીના શિષ્યો પણ હોડીમાં કિનારે ગયા.
તેઓ કિનારે આવ્યા ત્યારે, સળગતા કોલસા પર માછલીઓ અને રોટલી શેકાતી હતી. પણ બધા ખાઈ શકે એ માટે વધારે માછલીઓની જરૂર હતી. એટલે ઈસુએ કહ્યું કે તેઓએ પકડેલી માછલીમાંથી થોડી લઈ આવે. પછી ઈસુએ કહ્યું: ‘આવો! નાસ્તો કરી લો.’
નાસ્તો કર્યા પછી ઈસુએ પિતરને પૂછ્યું: ‘શું માછલી પકડવાના કામ કરતાં તું મારા પર વધારે પ્રેમ રાખે છે?’ પિતરે કહ્યું: ‘હા માલિક! તમે જાણો છો કે મને તમારા પર વધારે પ્રેમ છે.’ ઈસુએ કહ્યું: “મારાં ઘેટાંને ખવડાવ.” ઈસુએ ફરી પૂછ્યું: ‘શું તું મારા પર પ્રેમ રાખે છે?’ પિતરે કહ્યું: ‘હા માલિક! તમે જાણો છો કે મને તમારા પર પ્રેમ છે.’ ઈસુએ કહ્યું: “મારાં ઘેટાંની સંભાળ રાખ.” ઈસુએ ત્રીજી વાર પિતરને એ જ સવાલ પૂછ્યો. એ સાંભળીને પિતર દુઃખી થયા અને તેમણે કહ્યું: ‘માલિક, તમે બધું જાણો છો. તમને ખબર છે કે મને તમારા પર પ્રેમ છે.’ ઈસુએ કહ્યું: “મારાં ઘેટાંને ખવડાવ.” પછી ઈસુએ પિતરને જણાવ્યું: “મારી પાછળ ચાલતો રહે.”
“ઈસુએ તેઓને કહ્યું: ‘મારી પાછળ આવો અને હું તમને જુદા પ્રકારના માછીમારો બનાવીશ. તમે માછલીઓને નહિ, માણસોને ભેગા કરશો.’ તેઓ તરત જ પોતાની જાળ પડતી મૂકીને તેમની પાછળ ગયા.”—માથ્થી ૪:૧૯, ૨૦