રવિવાર, ઑક્ટોબર ૨૬
“ઈશ્વર ઘમંડી લોકોની વિરુદ્ધ છે, પણ નમ્ર લોકો પર તે અપાર કૃપા વરસાવે છે.”—યાકૂ. ૪:૬.
બાઇબલમાં એવી ઘણી સ્ત્રીઓ વિશે જણાવ્યું છે, જેઓ યહોવાને પ્રેમ કરતી હતી અને તન-મનથી તેમની ભક્તિ કરતી હતી. એ સ્ત્રીઓ “દરેક વાતે મર્યાદા” રાખતી હતી અને “બધાં કાર્યોમાં વિશ્વાસુ” હતી. (૧ તિમો. ૩:૧૧) યુવાન બહેનો, તમે એ સ્ત્રીઓ પાસેથી શીખી શકો. એ ઉપરાંત તમારા મંડળમાં પણ એવી બહેનો હશે, જેઓ યહોવાને દિલથી પ્રેમ કરે છે. તમે એ બહેનો પાસેથી પણ ઘણું શીખી શકો. યુવાન બહેનો, એવી બહેનોનો વિચાર કરો, જેઓએ સારો દાખલો બેસાડ્યો છે અને જેઓને તમે અનુસરવા માંગો છો. જુઓ કે તેઓમાં કયા સરસ ગુણો છે. પછી વિચારો કે તમે કઈ રીતે એ ગુણો કેળવી શકો. પરિપક્વ બનવા નમ્રતાનો ગુણ હોવો ખૂબ જરૂરી છે. જો એક સ્ત્રી નમ્ર હશે, તો યહોવા અને બીજાઓ સાથે તેના સારા સંબંધો હશે. દાખલા તરીકે, યહોવાને પ્રેમ કરતી સ્ત્રી નમ્ર બનીને ૧ કોરીંથીઓ ૧૧:૩માં આપેલો સિદ્ધાંત પાળશે. ત્યાં સ્વર્ગમાંના આપણા પિતાએ સ્પષ્ટ જણાવ્યું છે કે મંડળમાં અને કુટુંબમાં આગેવાની લેવાનો અધિકાર તેમણે કોને આપ્યો છે. w૨૩.૧૨ ૧૮-૧૯ ¶૩-૫
સોમવાર, ઑક્ટોબર ૨૭
“પતિઓ, તમે જેમ પોતાના શરીરને પ્રેમ કરો છો, તેમ પોતાની પત્નીને પ્રેમ કરો.”—એફે. ૫:૨૮.
યહોવા ચાહે છે કે એક પતિ તેની પત્નીને પ્રેમ કરે, તેની જરૂરિયાતો પૂરી કરે, તેનો સારો દોસ્ત બને અને તેને યહોવા સાથેનો સંબંધ મજબૂત રાખવા મદદ કરે. તેમ જ, સમજશક્તિ કેળવવી, સ્ત્રીઓનો આદર કરવો અને ભરોસાપાત્ર બનવું જેવા ગુણો કેળવવાથી તમને એક સારા પતિ બનવા મદદ મળશે. લગ્ન પછી તમે કદાચ બાળકો કરવાનું વિચારો. પણ સારા પિતા બનવા તમને શાનાથી મદદ મળી શકે? (એફે. ૬:૪) યહોવાએ દિલ ખોલીને પોતાના દીકરા ઈસુને કહ્યું હતું કે, તે તેમને પ્રેમ કરે છે અને તેમનાથી ખુશ છે. (માથ. ૩:૧૭) જો ભાવિમાં તમે પિતા બનો, તો નિયમિત રીતે તમારાં બાળકોને ખાતરી અપાવતા રહેજો કે તમે તેઓને પ્રેમ કરો છો. તેઓ કંઈ સારું કરે ત્યારે, દિલ ખોલીને તેઓના વખાણ કરજો. યહોવાનો દાખલો અનુસરતા પિતાઓ પોતાનાં બાળકોને પરિપક્વ ખ્રિસ્તીઓ બનવા મદદ કરે છે. સારા પિતા બનવા તમે હમણાંથી જ અમુક તૈયારીઓ કરી શકો છો. જેમ કે, કુટુંબીજનોને અને મંડળનાં ભાઈ-બહેનોને પ્રેમ કરો અને તેઓની કાળજી લો. પ્રેમ બતાવવાનું શીખો અને તેઓની કદર કરો.—યોહા. ૧૫:૯. w૨૩.૧૨ ૨૮-૨૯ ¶૧૭-૧૮
મંગળવાર, ઑક્ટોબર ૨૮
“[યહોવા] તમને સ્થિર કરશે.”—૧ પિત. ૫:૧૦.
આખી માણસજાત પર મુશ્કેલીઓ અને બીમારીઓનો કહેર તૂટી પડે છે. યહોવાના સેવકો પણ એમાંથી બાકાત નથી. એ ઉપરાંત, યહોવાની ભક્તિ કરતા હોવાને લીધે વિરોધ અથવા સતાવણીનો સામનો કરવો પડે છે. ખરું કે, યહોવા આપણા પર મુશ્કેલીઓ આવતી રોકતા નથી, પણ તે મદદ કરવાનું વચન આપે છે. (યશા. ૪૧:૧૦) તેમની મદદથી આપણે આનંદ જાળવી શકીએ છીએ, સારા નિર્ણયો લઈ શકીએ છીએ અને કપરા સંજોગોમાં પણ તેમને વફાદાર રહી શકીએ છીએ. યહોવા શાંતિ આપવાનું વચન આપે છે. એને બાઇબલમાં “ઈશ્વરની શાંતિ” કહી છે. (ફિલિ. ૪:૬, ૭) એ શાંતિ યહોવા સાથેના સંબંધને લીધે જ મળે છે. એ આપણી “સમજશક્તિની બહાર” છે. એને શબ્દોમાં વર્ણવી શકાતી નથી. શું તમારી સાથે કદી એવું બન્યું છે કે, તમે યહોવાને કરગરીને પ્રાર્થના કરી હોય અને પછી તમારું મન શાંત થઈ ગયું હોય? ‘ઈશ્વરની શાંતિને’ લીધે તમે એવું અનુભવ્યું. w૨૪.૦૧ ૨૦ ¶૨; ૨૧ ¶૪