બા ઇ બ લ નું દૃ ષ્ટિ બિં દુ
શું આપણાં પાપ માટે
શેતાનનો વાંક કાઢવો જોઈએ?
પહેલાં માનવ પાપ માટે શેતાનનો વાંક કાઢવામાં આવ્યો હતો. “સર્પે મને ભૂલાવી, ને મેં ખાધું.” હવાએ કહ્યું. (ઉત્પત્તિ ૩:૧૩) ત્યારથી માંડીને, “તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે” તેણે માણસજાતની સમક્ષ ‘તેઓનાં મન આંધળા’ કરીને “આખા જગતને ભમાવે” છે. (પ્રકટીકરણ ૧૨:૯; ૨ કોરીંથી ૪:૪) કોઈ માણસ તેનાં દબાણ હેઠળથી છટકી શકતાં નથી, પરંતુ શું એનો અર્થ એમ થાય કે આપણે તેની અસરનો સામનો કરી શકતાં નથી? અને જ્યારે આપણે પાપ કરીએ છીએ ત્યારે, શું હંમેશા એ તેનો જ વાંક છે?
હકીકતમાં, બાઇબલ જણાવે છે કે, શેતાને હવાને છેતરી હતી. (૧ તીમોથી ૨:૧૪) તેને એવી રીતે છેતરવામાં આવી હતી કે તે એમ વિચારે કે, દેવની આજ્ઞાનો ભંગ કરવાથી, તે દેવ જેવી અંતર્દષ્ટિ અને સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકશે. (ઉત્પત્તિ ૩:૪, ૫) એવા અંદાજે, તેણે પાપ કર્યું. છતાં, દેવે હવાને જવાબદાર ઠેરવી અને તેને મરણની સજા ફરમાવી. શા માટે? કારણ કે શેતાન જૂઠું બોલ્યો હતો છતાં, હવા પોતે દેવની આજ્ઞાઓથી જાણકાર હતી. તેને કદી પણ અનાજ્ઞાધીન થવા માટે દબાણ કરવામાં આવ્યું ન હતું; એનાથી ભિન્ન, તેનાં કૃત્યો તેનાં પોતાનાં કાબૂમાં હતાં, તેથી તે શેતાનની અસરોનો સામનો કરવા પૂર્ણ રીતે શક્તિમાન હતી.
ડેવિલનો પ્રતિકાર કરો
આપણે ડેવિલનો વિરોધ કરી શકીએ છીએ. એફેસી ૬:૧૨માં, આપણને કહેવામાં આવ્યું છે કે “આપણું આ યુદ્ધ . . . આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરોની સામે છે.” તો પછી, સ્પષ્ટપણે, દેવ આપણી પાસેથી શેતાનની અસરોની સામે થવાની આશા રાખે છે. પરંતુ કઈ રીતે માનવીઓ શેતાન અને તેનાં અપદૂતોની વિશાળ શક્તિની સામા થવા યોગ્ય થઈ શકે? શું આપણને એવું યુદ્ધ લડવાનું કહેવામાં આવ્યું છે, જેમાં આપણે જરૂર હારીશું જ? ના, કારણ કે, દેવ આપણને ડેવિલની સામા થવાનું આપણી પોતાની શક્તિ પર આધારિત થઈને કહેતા નથી. યહોવાહ આપણને ડેવિલની છેતરામણીનો સામનો કરવા અને એમાં વિજયવંત થવા માટે ઘણી રીતો બતાવે છે. બાઇબલ આપણને કહે છે કે ડેવિલ કોણ છે, તે કેવી રીતે કાર્ય કરે છે, અને આપણે કઈ રીતે પોતાનું રક્ષણ કરી શકીએ.—યોહાન ૮:૪૪; ૨ કોરીંથી ૨:૧૧; ૧૧:૧૪.
કઈ રીતે ડેવિલની “સામા” થવું
શાસ્ત્રવચનમાં ડેવિલની સામા થવા માટે આપણને બે પગલાં ભરવાની સલાહ આપવામાં આવી છે: “માટે તમે દેવને આધીન થાઓ; પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.” (યાકૂબ ૪:૭) દેવને આજ્ઞાધીન થવામાં પહેલું પગલું એ છે કે દેવની આજ્ઞાઓને આધીન થવું. દેવ ખરેખર સાચા છે એ વિષે જો આપણે હંમેશા સજાગ રહીશું, અને તેમના સારાપણા, શક્તિ, સત્તા, અને તેમનાં ઉચ્ચ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીશું તો, તે આપણને શેતાનની સામા થવામાં શક્તિ આપશે. દેવને પ્રાર્થનામાં લાગુ રહેવું એ પણ જરૂરી છે.—એફેસી ૬:૧૮.
ડેવિલે ઈસુને પરીક્ષણમાં નાંખ્યા તે સમયનો વિચાર કરો. દેવની આજ્ઞાઓને યાદ કરવા અને એને ટાંકવાથી, દેવે સાચે જ ઈસુને મદદ પૂરી પાડી. ઈસુને પાપમાં પકડવામાં સફળ ન થવાને કારણે, શેતાને તેમને મૂકી દીધા. એ આકરી કસોટી પછી, યહોવાહે, તેમના દૂતોની મારફતે, ઈસુને વધુ દૃઢ બનાવ્યા. (માત્થી ૪:૧-૧૧) તેથી, ઈસુ તેમનાં શિષ્યોને ખાતરીપૂર્વક ઉત્તેજન આપી શક્યા કે તેઓએ ‘ભૂંડાથી છૂટકો કરવા’ દેવ પાસેથી મદદ માંગવી જોઈએ.—માત્થી ૬:૧૩.
આપણને છૂટકારો કરવાનો અર્થ એ નથી થતો કે દેવ આપણી ફરતે રક્ષણની ઢાલ ખડી કરી દે. એને બદલે, તે આપણને સત્ય, ન્યાયીપણું, શાંતિ, અને વિશ્વાસ જેવાં દૈવી ગુણો વિકસાવવા કહે છે. આ ગુણો આપણી માટે “હથિયારો” તરીકે કામ આવે છે જે આપણને ‘શેતાનની કુયુક્તિઓની સામે દૃઢ રહેવા’ મદદ કરી શકે. (એફેસી ૬:૧૧, ૧૩-૧૮) તેથી દેવની મદદથી શેતાન તરફથી આવતી લાલચોને આંબવી શક્ય છે.
યાકૂબ ૪:૭માં બતાવેલું બીજું પગલું એ છે કે “શેતાનની સામા થાઓ.” એમાં દૃઢ કૃત્યો કરવાનું અને તેની હાનિકારક અસરોથી નાસી જવાનું સમાયેલું છે. વ્યક્તિએ તેની છેતરામણી અસરો અને આજના જગતમાં ભૌતિકવાદ અને અનૈતિક ફિલસૂફીઓને ટાળવી જોઈએ. આ પ્રમાણે ડેવિલની સામા થવું અને એની સાથે દેવને ખુશ કરવા માટે જીવન સમર્પિત કરવું ખરેખર મૂલ્યવાન છે. પરંતુ શું બધા જ પાપો સીધેસીધી રીતે શેતાનની અસરનું પરિણામ છે?
આપણા અંદરની લડાઈ
બાઇબલ લેખક યાકૂબ સમજાવે છે: “પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે.” (યાકૂબ ૧:૧૪, ૧૫) દુઃખદ બાબત એ છે કે, આપણે વારસામાં મળેલી નબળાઈઓ અને અપૂર્ણતાને સંપૂર્ણપણે આંબી શકતા નથી. (રૂમી ૫:૧૨) “જે સારું જ કરે છે અને પાપ કરતો જ નથી એવો નેક માણસ નિશ્ચે પૃથ્વી પર એકે નથી,” બાઇબલ કહે છે.—સભાશિક્ષક ૭:૨૦.
એનો અર્થ એ નથી થતો કે બધા જ પાપો આપણા કાબૂ બહાર છે. કેટલાક કિસ્સાઓમાં, આપણી ખોટી પસંદગીને કારણે, આપણે આપણા પર દબાણો લાવી બેસીએ છીએ. તેથી, ખોટી ઇચ્છા કદાચ આપણી અપૂર્ણતાને કારણે કે પછી શેતાનની અસરોને લીધે હોય, પણ આપણે એને પોષીએ કે પછી રદબાતલ કરીએ, એનો આધાર આપણા પર છે. તેથી યોગ્ય રીતે જ, પ્રેષિત પાઊલે લખ્યું: “કોઈ માણસ જે કંઈ વાવે તેજ જે લણશે.”—ગલાતી ૬:૭.
વાંક કબૂલ કરો
મોટે ભાગે માણસજાત માટે એ અઘરું છે કે તે પોતાની નબળાઈઓ, નિષ્ફળતાઓ, ભૂલો—હા, પાપ, સ્વીકારે. (ગીતશાસ્ત્ર ૩૬:૨) આપણાં પાપ માટે જવાબદાર થવામાં એક બાબત મદદ કરી શકે કે દેવ હમણાં આપણી પાસેથી સંપૂર્ણતા માંગતા નથી. “તે આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યો નથી, આપણા અન્યાયના પ્રમાણમાં તેણે આપણને બદલો વાળ્યો નથી,” ગીતકર્તા દાઊદે જાહેર કર્યું. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૦) દેવ માફી આપે છે છતાં, તે આપણી પાસેથી આશા રાખે છે કે આપણે ડેવિલનાં પ્રલોભનો અને આપણી પોતાની પાપ કરવાની વૃત્તિ સામે પોતાને શિસ્ત આપવા માટે, સખત લડીએ.—૧ કોરીંથી ૯:૨૭.
આપણે સમજવાની જરૂર છે કે દેવ જાણે છે કે ડેવિલ આપણાં કૃત્યો પર પ્રભાવ પાડે છે અને માણસજાતની પાપી સ્થિતિ માટે જવાબદાર છે છતાં, તે આપણને પોતાની જવાબદારીમાંથી મુક્ત કરી નાખતું નથી. તેથી, રૂમી ૧૪:૧૨ કહે છે: “આપણ દરેકને પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે.”
છતાં, જો આપણે ‘જે ભૂંડું છે તેને ધિક્કારીએ’ અને ‘જે સારું છે તેને વળગી રહીએ,’ તો આપણે દુષ્ટતા પર વિજય મેળવી શકીએ છીએ. (રૂમી ૧૨:૯, ૨૧) પ્રથમ સ્ત્રી, હવા, એ કરવામાં નિષ્ફળ ગઈ, અને તેને અનાજ્ઞાધિનતાને કારણે સજા મેળવી; તે સામનો કરી શકી હોત અને દેવને આધીન રહી શકી હોત. (ઉત્પત્તિ ૩:૧૬) છતાં દેવ, શેતાને જે ભાગ ભજવ્યો હતો એને ભૂલી ગયા નહિ. ડેવિલને શાપ આપવામાં આવ્યો અને આખરે, અનંત નાશ ફરમાવવામાં આવ્યો. (ઉત્પત્તિ ૩:૧૪, ૧૫; રૂમી ૧૬:૨૦; હેબ્રી ૨:૧૪) નજીકનાં ભાવિમાં જ આપણે તેની દુષ્ટ અસરોથી મુક્ત થઈ જઈશું.—પ્રકટીકરણ ૨૦:૧-૩, ૧૦.
Erich Lessing/Art Resource, NY