-
સરકીટ નિરીક્ષકો કઈ રીતે આપણને મદદ આપે છે?યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
-
-
પાઠ ૧૭
સરકીટ નિરીક્ષકો કઈ રીતે આપણને મદદ આપે છે?
મલાવી
પ્રચારનું ગ્રૂપ
પ્રચારકાર્ય
વડીલોની સભા
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્ર અનેક વાર બાર્નાબાસ અને પ્રેરિત પાઊલ વિશે જણાવે છે. તેઓ પહેલી સદીમાં પ્રવાસી નિરીક્ષકો તરીકે મંડળોની મુલાકાત લેતા. શા માટે? મંડળના ભાઈ-બહેનો માટે તેઓને ખરેખર ચિંતા હતી. પાઊલે જણાવ્યું કે ભાઈઓ ઈશ્વરભક્તિમાં કેવું કરે છે, એ જાણવા તે ‘પાછા જઈને તેઓની મુલાકાત’ લેવા માંગતા હતા. ભાઈઓને મળીને તેઓની શ્રદ્ધા વધારવા લાંબી મુસાફરી કરવા તે તૈયાર હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૬) આજે પણ પ્રવાસી નિરીક્ષકો એવું જ કરવા ચાહે છે.
તેઓ આપણને ઉત્તેજન આપવા આવે છે. દરેક સરકીટ નિરીક્ષક લગભગ વીસેક મંડળની વારાફરતી એક અઠવાડિયાની મુલાકાતે જાય છે. વર્ષમાં તે દરેક મંડળને બે વાર મળે છે. આ ભાઈઓના અને જો તેઓ પરણેલા હોય, તો તેઓની પત્નીના અનુભવોમાંથી આપણને ઘણું શીખવા મળે છે. તેઓ મંડળમાં નાનાં-મોટાં બધાને ઓળખવાનો પ્રયત્ન કરે છે. તેઓ આપણી સાથે બાઇબલ અભ્યાસ અને પ્રચારમાં જવા આતુર હોય છે. આ ભાઈઓ, વડીલો સાથે મંડળના સભ્યોની મુલાકાત લઈને ઉત્તેજન આપે છે. ઉપરાંત, તેઓ સભાઓ અને સંમેલનોમાં ઉત્તેજનભર્યાં પ્રવચન આપે છે, જેનાથી આપણી શ્રદ્ધા મજબૂત થાય છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૫.
તેઓ બધા ભાઈ-બહેનોમાં રસ બતાવે છે. સરકીટ નિરીક્ષકો એ જાણવા આતુર હોય છે કે યહોવાની ભક્તિમાં મંડળો કેવું કરે છે. તેઓ મંડળના વડીલો અને સહાયક સેવકો સાથે મળીને જુએ છે કે મંડળે કેવી પ્રગતિ કરી છે. પછી, તેઓને મંડળની જવાબદારીઓ ઉપાડવા જરૂરી સલાહ-સૂચનો આપે છે. તેઓ પાયોનિયરોને તેઓના સેવાકાર્યમાં સફળ થવા મદદ આપે છે. પ્રવાસી નિરીક્ષકોને મંડળમાં આવતા નવા નવા લોકોને મળવાનું અને તેઓના અનુભવો સાંભળવાનું ગમે છે. આ દરેક ભાઈઓ રાજી-ખુશીથી આપણા લાભ માટે ‘સાથે કામ કરનારા’ છે. (૨ કોરીંથી ૮:૨૩) આપણે તેઓની શ્રદ્ધા અને ભક્તિભાવનું અનુકરણ કરવું જોઈએ.—હિબ્રૂ ૧૩:૭.
સરકીટ નિરીક્ષકો શા માટે મંડળોની મુલાકાત લે છે?
તેઓની મુલાકાતથી તમને કેવો લાભ થશે?
-
-
અમારાં ભાઈ-બહેનોને મુશ્કેલ સંજોગોમાં કઈ રીતે મદદ કરીએ છીએ?યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
-
-
પાઠ ૧૮
અમારાં ભાઈ-બહેનોને મુશ્કેલ સંજોગોમાં કઈ રીતે મદદ કરીએ છીએ?
ડોમિનિકન રિપબ્લિક
જાપાન
હૈતી
જ્યારે આફત આવી પડે ત્યારે, એનાથી અસર પામેલાં ભાઈ-બહેનોને મદદ કરવા યહોવાના સાક્ષીઓ તરત જ ગોઠવણ કરે છે. એનાથી દેખાઈ આવે છે કે અમે એકબીજાને ખરેખર પ્રેમ કરીએ છીએ. (યોહાન ૧૩:૩૪, ૩૫; ૧ યોહાન ૩:૧૭, ૧૮) અમે કેવી રીતે મદદ કરીએ છીએ?
અમે દાન મોકલીએ છીએ. પહેલી સદીમાં યહૂદિયામાં મોટો દુકાળ પડ્યો હતો. એ સમયે ત્યાંના ખ્રિસ્તીઓને મદદ કરવા અંત્યોખના ભાઈ-બહેનોએ પૈસા મોકલ્યા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૭-૩૦) એ જ રીતે, કોઈ પણ જગ્યાએ અમારાં ભાઈ-બહેનો પર તકલીફ આવી છે એવી જાણ થાય ત્યારે, અમે અમારા મંડળ દ્વારા દાન મોકલીએ છીએ, જેથી તેઓને જરૂરી ચીજ-વસ્તુઓ મળી શકે.—૨ કોરીંથી ૮:૧૩-૧૫.
અમે જરૂરી મદદ કરીએ છીએ. આફત આવી હોય ત્યાંના વડીલો તપાસ કરે છે કે મંડળના બધા ભાઈ-બહેનો સલામત છે કે નહિ. રાહત સમિતિ જરૂર પડે ત્યારે ખોરાક, પીવાનું ચોખ્ખું પાણી, કપડાં, તંબૂ અને દવા-સારવાર આપવાની ગોઠવણો કરે છે. જરૂરી આવડત ધરાવતા ઘણા યહોવાના સાક્ષીઓ પોતાને ખર્ચે રાહતકાર્યમાં ભાગ લેવા જાય છે. તેઓ તૂટેલાં ઘરો કે પ્રાર્થનાઘરો સમારવા પણ મદદ કરે છે. અમારા સંગઠનમાં સંપ અને સાથે મળીને કામ કરવાનો અનુભવ છે. એટલે જરૂર પડે ત્યારે સાધન-સામગ્રી સાથે ભાઈ-બહેનો તરત જ હાજર થઈ જાય છે. ખરું કે, અમે અમારાં ભાઈ-બહેનોને મદદ કરીએ છીએ, પણ શક્ય હોય ત્યારે બીજા ધર્મોના લોકોને પણ મદદ કરીએ છીએ.—ગલાતી ૬:૧૦.
દુઃખ સહેવા અમે દિલાસો અને બાઇબલમાંથી મદદ આપીએ છીએ. આફતનો ભોગ બનેલાઓને દિલાસાની ખાસ જરૂર હોય છે. ત્યારે તેઓને હિંમત આપવા અમે ‘સર્વ દિલાસાના ઈશ્વર’ યહોવા તરફ મીટ માંડીએ છીએ. (૨ કોરીંથી ૧:૩, ૪) દુઃખી લોકોને બાઇબલમાંથી આશા આપતાં ઈશ્વરનાં વચનો અમે રાજી-ખુશીથી બતાવીએ છીએ. અમે જણાવીએ છીએ કે દુઃખ અને પીડા આપતી બધી આપત્તિઓને ઈશ્વરનું રાજ્ય જલદી જ કાઢી નાંખશે.—પ્રકટીકરણ ૨૧:૪.
આફતના સમયે યહોવાના સાક્ષીઓ શાના લીધે તરત જ પગલાં લઈ શકે છે?
ભોગ બનેલાઓને અમે કેવો દિલાસો આપીએ છીએ?
-
-
વિશ્વાસુ અને સમજુ ચાકર કોણ છે?યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
-
-
પાઠ ૧૯
વિશ્વાસુ અને સમજુ ચાકર કોણ છે?
ઈશ્વરના જ્ઞાનથી આપણ સર્વને લાભ થાય છે
પોતાના મરણના થોડા સમય પહેલાં, ઈસુ તેમના શિષ્યો પીતર, યાકૂબ, યોહાન અને આંદ્રિયા સાથે વાત કરતા હતા. દુષ્ટ જગતના છેલ્લા દિવસોમાં પોતે સ્વર્ગમાં રાજા બનશે એની નિશાનીઓ આપ્યા પછી, તેમણે આ મહત્ત્વનો સવાલ કર્યો: “જે ચાકરને તેના ધણીએ પોતાના ઘરનાંને વખતસર ખાવાનું આપવા માટે પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ અને સમજુ ચાકર કોણ છે?” (માથ્થી ૨૪:૩, ૪૫; માર્ક ૧૩:૩, ૪) અહીં ઈસુ ખોરાકની વાત કરતા ન હતા, પણ ઈશ્વરના જ્ઞાનને ખોરાક સાથે સરખાવતા હતા. ઈસુએ પોતાના શિષ્યોને ખાતરી આપી કે પોતે તેઓના ‘ધણી’ તરીકે ચાકરને પસંદ કરશે; એ અંતના સમયમાં ધરતી પરના શિષ્યોને નિયમિત ઈશ્વરનું જ્ઞાન પૂરું પાડશે. તો આ ચાકરમાં કોણ હશે?
ઈસુના પગલે ચાલનારા અભિષિક્તોનું એક નાનું નિયામક જૂથ છે, જે ચાકર તરીકે ઓળખાઈ આવે છે. “વિશ્વાસુ અને સમજુ ચાકર” જેવો ભાગ ભજવતું નિયામક જૂથ બીજા ઈશ્વરભક્તોને યહોવાના જ્ઞાનનો જાણે સમયસરનો ખોરાક આપતું રહે છે. આ જૂથ “યોગ્ય સમયે” આપણને ઈશ્વરની શક્તિનું માર્ગદર્શન પૂરું પાડે છે, જે માટે આપણે એના પર પૂરેપૂરા નભીએ છીએ.—લુક ૧૨:૪૨.
ઈશ્વરના ઘરનાની સંભાળ રાખે છે. (૧ તીમોથી ૩:૧૫) ઈસુએ ચાકરને આ ભારે જવાબદારી સોંપી છે: ધરતી પર યહોવાના સંગઠનની સર્વ સંપત્તિની સંભાળ રાખવી, પ્રચારકાર્ય માટે માર્ગદર્શન આપવું અને મંડળો દ્વારા આપણને શિક્ષણ પૂરું પાડવું. આપણને ઈશ્વરના જે જ્ઞાનની જરૂર છે, એ “વિશ્વાસુ અને સમજુ ચાકર” કેવી રીતે પૂરું પાડે છે? સભા-સંમેલનો અને આપણે પ્રચારમાં જે સાહિત્ય વાપરીએ છીએ એના દ્વારા.
આ ચાકર, બાઇબલ સત્યને અને ખુશખબર ફેલાવવાના કાર્યને વફાદાર રહે છે. આમ તેઓ વિશ્વાસુ છે. ઈસુ ખ્રિસ્તે સોંપેલી પૃથ્વી પરની સર્વ જવાબદારી તેઓ સમજી વિચારીને ઉપાડે છે. આમ તેઓ સમજુ છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૨) તેઓ પર યહોવાનો આશીર્વાદ છે. એટલે તેઓ પુષ્કળ સાહિત્ય દ્વારા ઈશ્વરનું શિક્ષણ પૂરું પાડે છે અને ઘણા લોકો સત્યમાં આવે છે.—યશાયા ૬૦:૨૨; ૬૫:૧૩.
પોતાના શિષ્યોને ઈશ્વરનું જ્ઞાન પૂરું પાડવા ઈસુએ કોને પસંદ કર્યા છે?
કઈ રીતે ચાકર વિશ્વાસુ અને સમજુ છે?
-