-
“જ્યાં નદી વહેશે, ત્યાં જીવન લાવશે”આખી ધરતી પર યહોવાની ભક્તિ!
-
-
પ્રકરણ ૧૯
“જ્યાં નદી વહેશે, ત્યાં જીવન લાવશે”
ઝલક: મંદિરમાંથી વહેતી નદીની ભવિષ્યવાણી પહેલાંના જમાનામાં કઈ રીતે પૂરી થઈ? એ આજે કઈ રીતે પૂરી થાય છે અને ભાવિમાં કઈ રીતે પૂરી થશે?
૧, ૨. હઝકિયેલ ૪૭:૧-૧૨ પ્રમાણે હઝકિયેલ શું જુએ છે? દૂતે તેમને શું જણાવ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
હઝકિયેલે મંદિરનું જે દર્શન જોયું હતું, એનો ફરીથી વિચાર કરો. તે એમાં બીજો એક જોરદાર બનાવ જુએ છે. તે જુએ છે કે મંદિરમાંથી પાણી વહેતું હતું. કલ્પના કરો, એ વહેતી નદીની સાથે સાથે હઝકિયેલ આગળ વધે છે. એનું પાણી એકદમ ચોખ્ખું છે. (હઝકિયેલ ૪૭:૧-૧૨ વાંચો.) એ પાણી મંદિરના ઉંબરા નીચેથી નીકળે છે અને મંદિરના પૂર્વ તરફના દરવાજાથી આગળ વહે છે. એક દૂત હઝકિયેલની સાથે છે. તે હઝકિયેલને મંદિરથી થોડે દૂર લઈ જાય છે. તેઓ જેમ જાય છે, તેમ દૂત એનું અંતર માપે છે. દૂત હઝકિયેલને વચ્ચે વચ્ચે પાણીમાંથી પસાર થવા કહે છે. હઝકિયેલને લાગે છે કે જેમ જેમ તેઓ આગળ વધે છે, તેમ તેમ પાણી ઝડપથી વધી રહ્યું છે અને ઊંડું થઈ રહ્યું છે. એક ઝરણામાંથી એ ખળખળ વહેતી મોટી નદી થઈ જાય છે. પછી હઝકિયેલ એમાંથી પસાર થઈ શકતા નથી, સિવાય કે તે એમાં તરવા લાગે.
૨ દૂતે હઝકિયેલને જણાવ્યું કે એ નદી મૃત સરોવરમાં મળી જાય છે. પછી એ નદી સરોવરનું ખારું પાણી મીઠું કરી નાખે છે. આમ જોવા જઈએ તો, મૃત સરોવરમાં કંઈ જીવતું ન રહે. પણ એ નદી સરોવરમાં મળે પછી, એ સરોવર ઢગલેબંધ માછલીઓનું ઘર થઈ જાય છે. હઝકિયેલ જુએ છે કે નદીના બંને કિનારે જાતજાતનાં લીલાંછમ વૃક્ષો છે. એના પર દર મહિને નવાં ફળ આવે છે. એનાં પાંદડાં દવા માટે છે. આ બધું જોઈને હઝકિયેલ કેટલા ખુશ થઈ ગયા હશે! તેમના દિલને કેટલી ઠંડક વળી હશે કે ભાવિમાં બધું સારું થઈ જશે! પણ દર્શનમાં જોયેલી નદીનો હઝકિયેલ માટે શું અર્થ થતો હતો? ગુલામીમાં રહેતા બીજા યહૂદીઓ માટે એનો શું અર્થ થતો હતો? આપણા માટે એનો શું અર્થ થાય છે? ચાલો જોઈએ.
એ નદીનો ગુલામીમાં રહેતા લોકો માટે શું અર્થ થતો હતો?
૩. પહેલાંના સમયના યહૂદીઓ હઝકિયેલે જોયેલી નદીને કેમ સાચૂકલી માનતા ન હતા?
૩ પહેલાંના સમયના યહૂદીઓ હઝકિયેલે જોયેલી નદીને સાચૂકલી માનતા ન હતા. એનાથી તેઓને યહોવાની ભક્તિ ફરી શરૂ થવા વિશેની એક ભવિષ્યવાણી યાદ આવી હશે. એ ભવિષ્યવાણી તેઓના સમયથી ૨૦૦ વર્ષ અગાઉ પ્રબોધક યોએલે કરી હતી. (યોએલ ૩:૧૮ વાંચો.) ગુલામીમાં રહેતા યહૂદીઓ યોએલની ભવિષ્યવાણી વાંચીને શું સમજ્યા હશે? તેઓ એવું સમજ્યા ન હતા કે સાચે જ પહાડોમાંથી “મીઠો દ્રાક્ષદારૂ ટપકશે,” ટેકરીઓ પર “દૂધની ધારા વહેશે,” કે પછી “યહોવાના મંદિરમાંથી” ઝરણું ફૂટી નીકળશે. એ જ રીતે, હઝકિયેલના સમયમાં પણ તેમની સાથેના યહૂદીઓ સમજ્યા હશે કે તે કંઈ સાચૂકલી નદીની વાત કરતા ન હતા.a તો પછી યહોવા આ દર્શનથી કયો સંદેશો આપવા માંગતા હતા? શાસ્ત્ર આપણને આ દર્શનના અમુક ભાગની ચોખ્ખી સમજણ મેળવવા મદદ કરે છે. એમાં આપણને ત્રણ મુખ્ય મુદ્દા જોવા મળશે. એ આપણને પાકી ખાતરી આપશે કે યહોવા પોતાના લોકોને કેટલો પ્રેમ કરે છે.
૪. (ક) યહૂદીઓએ નદીના દર્શન વિશે સાંભળ્યું ત્યારે તેઓએ કેવા આશીર્વાદો મેળવવાની કલ્પના કરી હશે? (ખ) બાઇબલની ઘણી કલમોમાં “નદી” અને ‘પાણીના’ દાખલા કેમ આપ્યા છે? (ગ) એનાથી આપણને કઈ રીતે ખાતરી થાય છે કે યહોવા પોતાના લોકોને ચોક્કસ આશીર્વાદો આપશે? (“યહોવાના આશીર્વાદોની નદીઓ” બૉક્સ જુઓ.)
૪ આશીર્વાદોની નદી. બાઇબલ યહોવાના આશીર્વાદો વિશે જણાવે છે. એ સમજાવવા ઘણી કલમોમાં નદી અને પાણીના દાખલા આપવામાં આવ્યા છે. નદી સતત વહેતી રહે છે. એવી જ રીતે, યહોવા પોતાના લોકો પર હંમેશાં આશીર્વાદો વરસાવતા રહેશે. હઝકિયેલે દર્શનમાં જે નદી જોઈ, એનાથી યહૂદીઓ શું સમજ્યા હશે? એ જ કે જો તેઓ પૂરાં દિલથી યહોવાની ભક્તિ કરતા રહે, તો તે તેઓને અઢળક આશીર્વાદો આપતા રહેશે. કયા આશીર્વાદો? એક તો એ કે યાજકો તેઓને ફરીથી યહોવાનાં વચનો શીખવશે. તેઓ યહોવાના મંદિરમાં અર્પણો ચઢાવશે ત્યારે પૂરી ખાતરી રાખી શકશે કે યહોવા તેઓનાં પાપ ચોક્કસ માફ કરશે. (હઝકિ. ૪૪:૧૫, ૨૩; ૪૫:૧૭) તેઓ યહોવાની નજરમાં ફરીથી શુદ્ધ થશે, જાણે મંદિરમાંથી વહેતી નદીના પાણીથી શુદ્ધ કરવામાં આવ્યા હોય.
૫. નદીના દર્શન વિશે જાણીને યહૂદીઓની ચિંતા કેમ દૂર થઈ ગઈ હશે?
૫ યહૂદીઓ પોતાના વતન પાછા ફર્યા ત્યારે તેઓને કદાચ થતું હશે: યહોવા બધાને અઢળક આશીર્વાદો આપશે કે કેમ? જો તેઓને આ વાતની ચિંતા થતી હોય, તો નદીના દર્શનથી એ ચિંતા દૂર થઈ ગઈ હશે. દર્શનમાં મંદિરમાંથી જે થોડું થોડું પાણી નીકળતું હતું, એ આગળ જતાં ઊંડું થતું ગયું. એ પાણી ખાલી બે કિલોમીટરમાં જ ખળખળ વહેતી નદી બની ગયું. (હઝકિ. ૪૭:૩-૫) તેઓ ફરીથી પોતાના વતનમાં જઈને રહેવા લાગે ત્યારે ભલેને વસ્તી ગમે એટલી વધે, પણ તેઓને યહોવાના આશીર્વાદોની ક્યારેય ખોટ નહિ પડે. નદીના દર્શનથી તેઓને ભરોસો બેઠો હશે કે તેઓને હંમેશાં ભરપૂર આશીર્વાદો મળતા રહેશે.
૬. (ક) ભવિષ્યવાણીમાંથી લોકોને કેવી હિંમત મળી હતી? (ખ) દર્શનમાં કઈ ચેતવણી હતી? (ફૂટનોટ પણ જુઓ.)
૬ જીવન આપનાર પાણી. દર્શનમાં આપણે જોયું કે મંદિરમાંથી વહેતી નદી જઈને મૃત સરોવરને મળે છે. એનાથી સરોવરનું ખારું પાણી મીઠું થઈ જાય છે. પછી મોટા સમુદ્ર, એટલે કે ભૂમધ્ય સમુદ્રની માછલીઓની જેમ, એમાં જાતજાતની ઢગલાબંધ માછલીઓ દેખાય છે. અરે, મૃત સરોવરના કિનારે બે શહેરો વચ્ચે માછલીઓનો મોટો વેપાર શરૂ થાય છે. એ બે શહેરો તો એકબીજાથી ઘણે દૂર દૂર આવેલાં હતાં. દૂત કહે છે: “જ્યાં નદી વહેશે, ત્યાં જીવન લાવશે.” શું એનો મતલબ એમ થાય કે એ નદીનું પાણી આખા મૃત સરોવરમાં ફરી વળશે? ના. દૂત સમજાવે છે કે જીવન આપનાર નદીનું પાણી ખાબોચિયાં સુધી પહોંચશે નહિ. એ તો ‘ખારા’ રહેશે.b (હઝકિ. ૪૭:૮-૧૧) એ ભવિષ્યવાણી લોકોને હિંમત આપતી હતી કે યહોવાની ભક્તિ ચોક્કસ ફરી શરૂ થશે. એ સાંભળીને લોકોની રગેરગમાં જોશ ભરાઈ ગયો હશે. સાથે સાથે એ ભવિષ્યવાણીમાં ચેતવણીનો સૂર પણ સંભળાય છે: બધું જ પાણી મીઠું નહિ થાય. એનો અર્થ કે બધા જ લોકો યહોવાના આશીર્વાદની કદર નહિ કરે. એટલે તેઓને એનો કોઈ ફાયદો નહિ થાય.
૭. નદી કિનારે લાગેલાં વૃક્ષોથી યહૂદીઓને કઈ વાતની ખાતરી થઈ હશે?
૭ ખાવાનું અને દવા આપતાં વૃક્ષો. દર્શનમાં નદી કિનારે જાતજાતનાં વૃક્ષો છે. એ જોઈને આંખોને કેટલી ઠંડક વળે છે! હઝકિયેલ અને બીજા યહૂદીઓ માટે એ વૃક્ષોનો શું મતલબ થતો હતો? દર્શનમાં બતાવ્યું હતું કે એ વૃક્ષો પર દર મહિને નવાં ફળ લાગશે. એનાથી યહૂદીઓને ખાતરી થઈ હશે કે યહોવા તેઓને ખોરાક આપતા રહેશે. એનો અર્થ એ કે તેઓને પોતાનું શિક્ષણ આપતા રહેશે. એ વૃક્ષોથી બીજો પણ એક ફાયદો થશે. એનાં પાંદડાં “દવા માટે હશે.” (હઝકિ. ૪૭:૧૨) કઈ રીતે? યાદ કરો, યહોવા સાથે તેઓનો સંબંધ કમજોર થઈ ગયો હતો. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ બીમાર થઈ ગયા હતા. યહોવાને ખબર હતી કે યહૂદીઓ પોતાના વતન પાછા આવે પછી તેઓને મદદની જરૂર પડશે. તેઓએ યહોવા સાથેનો પોતાનો સંબંધ મજબૂત કરવો પડશે. એવી જ મદદ કરવાનું યહોવાએ વચન આપ્યું. યહોવાએ તેઓને કઈ રીતે મદદ કરી, એના વિશે આપણે ૯મા પ્રકરણમાં જોઈ ગયા. યહોવાની ભક્તિ ફરી શરૂ થશે એ વિશે એમાં આપણે બીજી ભવિષ્યવાણીઓ જોઈ ગયા.
૮. હઝકિયેલનું આ દર્શન મોટા પાયે પૂરું થશે, એ શાના પરથી કહી શકાય?
૮ આપણે ૯મા પ્રકરણમાં બીજું શું જોયું? આપણે જોયું કે ગુલામીમાંથી પાછા ફરેલા લોકોએ આવી ભવિષ્યવાણીઓ જીવનમાં સાચી પડતા જોઈ હતી. પણ એ નાના પાયે પૂરી થઈ હતી. કેમ એવું? એનું કારણ ખુદ ઇઝરાયેલી લોકો હતા. તેઓ પોતાના વતન પાછા ફર્યા, એ પછી તેઓ યહોવાને ભૂલી જવા લાગ્યા. તેઓ તેમની આજ્ઞા પાળવાનું ચૂકી જવા લાગ્યા. ધીમે ધીમે યહોવાની ભક્તિમાં તેઓનો જોશ ઠંડો પડી જવા લાગ્યો. એવા લોકોને યહોવા કઈ રીતે આશીર્વાદ આપે! એ જોઈને વફાદાર ઈશ્વરભક્તોનું દિલ રડી ઊઠ્યું. તેઓ બેવફા ઈશ્વરભક્તોનાં વાણી-વર્તન જોઈને એકદમ નિરાશ થઈ ગયા. તોપણ સાચા ઈશ્વરભક્તો જાણતા હતા કે યહોવાનું દરેક વચન સાચું પડશે. એમાંનું એક પણ વચન નિષ્ફળ જશે નહિ. (યહોશુઆ ૨૩:૧૪ વાંચો.) એટલે તેઓને ભરોસો હતો કે હઝકિયેલનું આ દર્શન એક દિવસ મોટા પાયે પૂરું થશે. પણ ક્યારે?
નદી આજે પણ વહે છે!
૯. મંદિરના દર્શનની ભવિષ્યવાણી મોટા પાયે ક્યારે પૂરી થશે?
૯ આ પુસ્તકના પ્રકરણ ૧૪માં શું જોયું? આપણે જોયું કે મંદિરના દર્શનની ભવિષ્યવાણી “છેલ્લા દિવસોમાં” મોટા પાયે પૂરી થાય છે. આપણા સમયમાં યહોવાની ભક્તિ એટલી જોરશોરથી થઈ રહી છે, જેવી પહેલાં ક્યારેય નથી થઈ. (યશા. ૨:૨) હઝકિયેલનું એ દર્શન આજે કઈ રીતે પૂરું થાય છે?
૧૦, ૧૧. (ક) યહોવાના આશીર્વાદોની નદી વહે છે, એનો લાભ આપણને કઈ રીતે મળે છે? (ખ) છેલ્લા દિવસોમાં યહોવાના એ આશીર્વાદો કઈ રીતે વધતા જાય છે?
૧૦ આશીર્વાદોની નદી. યહોવાના મંદિરમાંથી સતત પાણી વહેતું હતું. એવી જ રીતે, આજે યહોવાના આશીર્વાદોની નદી વહે છે, જેનો લાભ આપણને મળે છે. યહોવાએ ઘણી બધી ગોઠવણ કરી છે. એનાથી આપણે યહોવા સાથે પાકી દોસ્તી હંમેશાં રાખી શકીએ છીએ. એ ગોઠવણોને લીધે આપણને યહોવાનું શિક્ષણ મળે છે. તેમની ગોઠવણોમાં ખાસ તો ઈસુની કુરબાની છે. એના આધારે જ આપણાં પાપોની માફી મળે છે. એના કારણે જ યહોવા આપણને શુદ્ધ ગણે છે. બાઇબલનું સત્ય પણ જીવન આપનાર પાણી જેવું છે, જે આપણને શુદ્ધ કરે છે. (એફે. ૫:૨૫-૨૭) આજે એ આશીર્વાદોની નદી કઈ રીતે વહે છે?
૧૧ સાલ ૧૯૧૯માં ફક્ત અમુક હજાર યહોવાના સાક્ષીઓ હતા. તેઓને જરૂરી હતું એટલું યહોવાનું શિક્ષણ મળતું રહેતું. એટલે તેઓ સત્યમાં મક્કમ થતા ગયા. એ પછીનાં થોડાં વર્ષોમાં તેઓની સંખ્યા વધવા લાગી. આજે યહોવાના લોકોની સંખ્યા ૮૫ લાખથી પણ વધારે છે. એની સાથે સાથે શું આશીર્વાદોની નદીનું પાણી પણ વધતું જાય છે? હા ચોક્કસ! આપણને બાઇબલના સત્યની કેટલી બધી સમજણ મળી છે! છેલ્લાં સોએક વર્ષોનો વિચાર કરો. આપણને અબજો બાઇબલો, પુસ્તકો, મૅગેઝિનો, પુસ્તિકાઓ અને પત્રિકાઓ મળી છે. આપણે જોઈ ગયા કે હઝકિયેલે દર્શનમાં જોયેલી નદીનું પાણી વધતું ને વધતું જતું હતું. આજે ભગવાન વિશે જાણવાની લોકોની તરસ પણ વધતી જાય છે, એટલે યહોવાનું શિક્ષણ મોટા પાયે પૂરું પાડવામાં આવે છે. બાઇબલની સમજણ આપતું છાપેલું સાહિત્ય લાંબા સમયથી મળે છે. હવે એ ઇલેક્ટ્રોનિક સાધનોમાં આપણી વેબસાઇટ jw.org પર પણ મળે છે. આજે એ ૧,૦૦૦થી પણ વધારે ભાષાઓમાં મળી રહે છે. સત્યનું શિક્ષણ જે નદીની જેમ વહે છે, એની નેક દિલ લોકો પર કેવી અસર થાય છે?
૧૨. (ક) સત્યના સંદેશાથી લોકોને શું ફાયદો થયો છે? (ખ) આ દર્શનથી કઈ ચેતવણી મળે છે? (ફૂટનોટ પણ જુઓ.)
૧૨ જીવન આપનાર પાણી. દૂતે હઝકિયેલને કીધું હતું કે “જ્યાં નદી વહેશે, ત્યાં જીવન લાવશે.” એ આજે કઈ રીતે સાચું પડે છે? આજે લાખો લોકો સુધી સત્યનો સંદેશો પહોંચે છે. તેઓ એ સંદેશો સ્વીકારે છે. તેઓ એવા ‘દેશમાં’ રહે છે, જેમાં બધા યહોવાની ભક્તિ કરે છે. જીવન આપનાર પાણી તેઓનાં દિલમાં ઊતરી જાય છે. સત્ય જાણીને તેઓને જાણે નવું જીવન મળે છે અને તેઓ યહોવાના દોસ્ત બને છે. દર્શનમાંથી એ પણ શીખવા મળે છે કે સમય જતાં અમુક લોકો સત્યનો માર્ગ છોડી દેશે. તેઓ તો મૃત સરોવરનાં કાદવ-કીચડ અને ખાબોચિયાં જેવા છે. તેઓને યહોવાના શિક્ષણની કંઈ પડી નથી. તેઓ એ પ્રમાણે જીવવાનું છોડી દેશે.c ચેતી જઈએ કે આપણને તેઓનો રંગ ન લાગે!—પુનર્નિયમ ૧૦:૧૬-૧૮ વાંચો.
૧૩. દર્શનમાં બતાવેલાં વૃક્ષો પરથી શું શીખવા મળે છે?
૧૩ ખાવાનું અને દવા આપતાં વૃક્ષો. દર્શનમાં નદીના કિનારે આપણે જાતજાતનાં વૃક્ષો જોયાં. એના પરથી ઘણું શીખવા મળે છે. એ વૃક્ષો પર દર મહિને નવાં ફળ લાગે છે. એનાં પાંદડાં દવા માટે છે. (હઝકિ. ૪૭:૧૨) એ યાદ અપાવે છે કે આપણા ઈશ્વર યહોવા કેટલા દરિયાદિલ છે! તે ઉદાર હાથે મદદ કરે છે, જેથી આપણે તેમની દિલથી ભક્તિ કરી શકીએ. એનાથી તેમની સાથેની આપણી દોસ્તી પાકી કરી શકીએ. દુનિયાના મોટા ભાગના લોકો યહોવાની ભક્તિ કરતા નથી. તેઓને બાઇબલના અનમોલ શિક્ષણની કંઈ જ ખબર નથી. પણ યહોવા પોતાના લોકોને કેટલી બધી મદદ કરે છે! આપણાં મૅગેઝિનોમાંથી કોઈ એક લેખ વાંચવાની મજા લઈને તમને કેવું લાગે છે? કોઈ સંમેલન કે મહાસંમેલનને અંતે છેલ્લું ગીત ગાઈને ઝૂમી ઊઠો ત્યારે કેવું લાગે છે? અથવા કોઈ વીડિયો કે બ્રોડકાસ્ટિંગની મજા માણીને કેવું લાગે છે? શું એવું નથી લાગતું કે યહોવાએ આપણને ઘણો બધો આશીર્વાદ આપ્યો છે! સાચે જ યહોવા આપણને તેમની ભક્તિમાં મક્કમ થવા અનેક રીતે મદદ કરે છે. તે આપણને કશાની ખોટ પડવા દેતા નથી. (યશા. ૬૫:૧૩, ૧૪) બાઇબલનાં અનમોલ મોતી જેવાં વચનોની સમજણથી આપણાં જીવન પર કેવી અસર પડે છે? એના લીધે જ તો આપણે સુખચેનથી જીવીએ છીએ અને ખાસ તો યહોવાને દિલોજાનથી પ્રેમ કરીએ છીએ. બાઇબલમાંથી આવી સરસ સલાહ મળે છે. એનાથી આપણે આવાં ખરાબ, નીચ કામો સામે લડી શકીએ છીએ: વ્યભિચાર, લોભ અને શ્રદ્ધાની ખામી. પણ આપણામાંથી જો કોઈ મોટું પાપ કરી બેસે તો શું? એના માટે પણ યહોવાએ એક ગોઠવણ કરી છે, જેથી મોટું પાપ કરનારને મદદ મળે. (યાકૂબ ૫:૧૪ વાંચો.) હઝકિયેલના દર્શનમાં બતાવેલાં વૃક્ષો પરથી શીખવા મળે છે કે યહોવા આપણને કેટલો બધો આશીર્વાદ આપે છે!
૧૪, ૧૫. (ક) કાદવ-કીચડ અને ખાબોચિયાં પરથી કઈ ચેતવણી મળે છે? (ખ) હઝકિયેલના દર્શનની નદીથી આજે કયા આશીર્વાદો મળે છે?
૧૪ આ દર્શનમાંથી આપણને એક ચેતવણી પણ મળે છે. યાદ કરો, જ્યાં કાદવ-કીચડ અને ખાબોચિયાં હતાં, એ જગ્યાનું પાણી મીઠું થયું નહિ, પણ ખારું જ રહ્યું. એનાથી શું શીખીએ છીએ? આપણું દિલ કઠણ ન થવા દઈએ કે યહોવાના આશીર્વાદોનું પાણી આપણા સુધી પહોંચે નહિ. આપણે એવું કંઈ ન કરીએ, જેનાથી યહોવા સાથેની દોસ્તી તૂટી જાય ને આપણે દુનિયાના લોકો જેવા થઈ જઈએ. (માથ. ૧૩:૧૫) આપણે તો એવું ચાહીએ છીએ કે યહોવાના આશીર્વાદોની નદી આપણાં જીવનમાં વહેતી રહે. આજે આપણને ઘણી રીતે એનો ફાયદો મળે છે. જેમ કે, બાઇબલમાંથી યહોવાનાં અનમોલ વચનોની સમજણ મળે છે. બીજા લોકોને પણ એ શીખવવાનો મોકો મળે છે. આપણને માર્ગદર્શન, દિલાસો અને મદદ આપવા માટે વડીલો પણ છે. તેઓને નિયામક જૂથે સરસ શિક્ષણ આપ્યું છે. આ બધી ગોઠવણોનો લાભ ઉઠાવીને આપણે જાણે આશીર્વાદોની નદીનું શુદ્ધ પાણી પીએ છીએ. આટલા બધા આશીર્વાદો માટે આપણે યહોવાનો કેટલો અહેસાન માનીએ છીએ! આ આશીર્વાદોની નદી જ્યાં જ્યાં વહે છે, ત્યાં ત્યાં જીવન લાવે છે. એ ખારાશ દૂર કરે છે અને મીઠાશ લાવે છે.
૧૫ નદીની આ ભવિષ્યવાણી આવનાર નવી દુનિયામાં મોટા પાયે પૂરી થશે. ચાલો જોઈએ કે એ ભવિષ્યવાણી કઈ રીતે સાચી પડશે.
નવી દુનિયામાં આ ભવિષ્યવાણી કઈ રીતે સાચી પડશે?
૧૬, ૧૭. (ક) નવી દુનિયામાં જીવનના પાણીથી કઈ રીતે ફાયદો થશે? (ખ) એ વખતે આપણને કયા આશીર્વાદો મળશે?
૧૬ શું તમે નવી દુનિયાની કલ્પના કરો છો? શું તમે પોતાને ત્યાં જુઓ છો? તમે તમારાં સગાં-વહાલાં સાથે છો. તમારા દોસ્તો તમારી સાથે છે. તમે એ જીવનની મજા લઈ રહ્યા છો. હઝકિયેલના દર્શનની વહેતી નદી વિશે જાણીને નવી દુનિયાને આપણી મનની આંખોથી જોઈ શકીએ છીએ. ચાલો ફરીથી એ દર્શનના ત્રણ મુદ્દાનો વિચાર કરીએ, જેમાંથી યહોવાનો પ્રેમ છલકાય છે.
૧૭ આશીર્વાદોની નદી. નવી દુનિયામાં આ નદીનું પાણી વધતું ને વધતું જશે. કઈ રીતે? એ સમયે યહોવા સાથેનો આપણો સંબંધ હજુ વધારે ગાઢ થશે. આપણી તબિયત એકદમ સરસ હશે. ઈસુના હજાર વર્ષના રાજમાં શું થશે? તેમની કુરબાનીના લીધે મળતા આશીર્વાદોનો યહોવાના વફાદાર લોકોને ભરપૂર ફાયદો મળશે. તેઓ ધીરે ધીરે તન-મનથી એકદમ તંદુરસ્ત થઈ જશે. તેઓમાં કોઈ ખામી નહિ રહે. કોઈ બીમાર નહિ હોય. ડૉક્ટર, નર્સ કે હૉસ્પિટલની જરૂર નહિ પડે. અરે, મેડિ-ક્લેઈમની પણ જરૂર નહિ પડે! “મોટી વિપત્તિમાંથી” લાખો-કરોડો લોકોનું “મોટું ટોળું” બચી જશે. જીવન આપનાર પાણી એ લોકોને નવું જીવન આપશે. (પ્રકટી. ૭:૯, ૧૪) આ તો બસ શરૂઆત હશે. એના પછી તો આશીર્વાદ, આશીર્વાદ ને આશીર્વાદ હશે! એ વખતે જાણે ધીમે ધીમે પાણી વહેતું હશે. આગળ જતાં, એ પાણી ખળખળ વહેતી મોટી નદી બની જશે!
નવી દુનિયામાં આશીર્વાદોની નદીના લીધે બધા લોકો યુવાન થશે. તેઓની તબિયત એકદમ મસ્ત હશે (ફકરો ૧૭ જુઓ)
૧૮. નવી દુનિયામાં “જીવનના પાણીની નદી” કેવી રીતે વહેવા લાગશે?
૧૮ જીવન આપનાર પાણી. હજાર વર્ષના રાજ્યમાં “જીવનના પાણીની નદી” ખળખળ વહેવા લાગશે. (પ્રકટી. ૨૨:૧) ગુજરી ગયેલા લાખો-કરોડો લોકોને યહોવા પોતાના રાજ્યમાં જીવતા કરશે. તેઓને નવી દુનિયામાં હંમેશ માટે જીવવાનો મોકો આપશે. બીજા શબ્દોમાં કહીએ તો જીવન આપનાર પાણીથી એવા લોકોને ફાયદો થશે, જેઓ લાંબા સમયથી મરણની ઊંઘમાં છે. (યશા. ૨૬:૧૯) પણ જેઓને મરણમાંથી જીવતા કરવામાં આવશે, તેઓ બધા શું કાયમ માટે જીવશે?
૧૯. (ક) શાના પરથી કહી શકાય કે નવી દુનિયામાં યહોવા પાસેથી નવું નવું શીખવા મળશે? (ખ) ભાવિમાં અમુક લોકો કઈ રીતે ‘ખારા’ પાણી જેવા રહેશે?
૧૯ એ તો દરેકે પોતે પસંદ કરવાનું છે. એ સમયે નવા વીંટા ખોલવામાં આવશે. યહોવા પાસેથી વહેતી નદીમાં આ વીંટાઓમાં રહેલા શિક્ષણનો પણ સમાવેશ થશે. એમાં યહોવા પાસેથી નવું નવું શીખવા મળશે. કેટલી જોરદાર વાત! તોપણ, કેટલાક લોકો જાણીજોઈને યહોવાના નવા શિક્ષણ પ્રમાણે નહિ જીવે. તેઓ મનમાની કરશે અને યહોવાના કહેવા પ્રમાણે નહિ કરે. હજાર વર્ષના રાજમાં પણ અમુક લોકો એવા નીકળશે, જેઓ યહોવાનો વિરોધ કરશે. પણ તેઓને નવી દુનિયામાં ઝેરી હવા ફેલાવવા દેવામાં નહિ આવે. (યશા. ૬૫:૨૦) હઝકિયેલના દર્શનનો વિચાર કરો. યાદ છે, એમાં ખાબોચિયાં જેવી જગ્યા મીઠી થઈ નહિ, એમાં “ખારાશ” રહી. યહોવાનો વિરોધ કરનારા લોકો કેટલા મૂર્ખા છે! તેઓ હઠીલા બનીને જીવનનું શુદ્ધ પાણી પીવાની ના પાડે છે. હજાર વર્ષ પૂરાં થશે ત્યારે, એ બધા બંડખોર લોકો બદમાશ શેતાન સાથે જોડાઈ જશે. પણ યહોવા સામે ટક્કર લેનાર કોઈ બચી શકશે નહિ. એ બધાનો અંત એકસરખો હશે. તેઓને કાયમ માટે, હા, કાયમ માટે ખતમ કરી દેવામાં આવશે.—પ્રકટી. ૨૦:૭-૧૨.
૨૦. નવી દુનિયામાં યહોવા આપણા માટે કઈ ગોઠવણ કરશે?
૨૦ ખાવાનું અને દવા આપતાં વૃક્ષો. યહોવા નથી ચાહતા કે આપણામાંથી કોઈ પણ હંમેશ માટેનું જીવન મેળવવાની તક હાથમાંથી સરકી જવા દે. આપણે દર્શનમાં જોયું કે નદી કિનારે જાતજાતનાં વૃક્ષો હતાં. એનાં પર સારાં ફળ આવતાં હતાં. એનાં પાંદડાં દવા માટે કામ આવતાં હતાં. હજાર વર્ષના રાજમાં પણ યહોવા એવી જ કોઈ ગોઠવણ કરશે. એનાથી આપણું શરીર એકદમ તાજું-માજું થઈ જશે. યહોવા સાથેનો આપણો સંબંધ પણ એકદમ પાકો થઈ જશે. એ ગોઠવણ છે, ઈસુ ખ્રિસ્ત અને ૧,૪૪,૦૦૦ અભિષિક્ત લોકોનું સ્વર્ગમાંથી હજાર વર્ષનું રાજ. અભિષિક્ત લોકો યાજકો તરીકે સેવા કરશે. તેઓ આપણને મદદ કરશે, જેથી આપણે ઈસુની કુરબાનીના આશીર્વાદો મેળવી શકીએ. એના લીધે આપણામાં તન-મનની કોઈ ખામી નહિ હોય. (પ્રકટી. ૨૦:૬) પ્રેરિત યોહાને પણ હઝકિયેલ જેવું જ દર્શન જોયું હતું. (પ્રકટીકરણ ૨૨:૧, ૨ વાંચો.) તેમણે પણ એવાં વૃક્ષો જોયાં, જેનાં પાંદડાં “પ્રજાના લોકોને સાજા કરવા માટે” હતાં. ૧,૪૪,૦૦૦ યાજકો જે સેવા આપશે, એનાથી લાખો-કરોડો લોકોને ઘણા ફાયદા થશે.
૨૧. (ક) દર્શનની નદી વિશે જાણીને તમને કેવું લાગે છે? (“ધીમે ધીમે વહેતું પાણી એક નદી બની જાય છે” બૉક્સ જુઓ.) (ખ) હવે પછીના પ્રકરણમાં શાના વિશે વાત કરીશું?
૨૧ હઝકિયેલે જણાવેલા નદીના દર્શન વિશે વિચાર કરવાથી આપણી આંખોમાં ચમક આવી જાય છે. એ નવી દુનિયા કેટલી જોરદાર હશે! યહોવા પોતાના લોકો પર આશીર્વાદોનો વરસાદ વરસાવશે. કેટલું સારું કે યહોવાએ હજારો વર્ષો પહેલાં એ ભવિષ્યવાણીઓ વિશે લખાવી લીધું. એમ કરીને તેમણે એક ઝલક આપી. તેમણે વર્ષોથી કેટલી બધી ધીરજ રાખી છે! તે લોકોને પ્રેમથી આવકારે છે અને જાણે કહે છે, ‘આવો આવો! નવી દુનિયામાં આવો! ઘણા બધા આશીર્વાદોનો આનંદ લો!’ શું તમને પણ નવી દુનિયામાં જવું છે? કદાચ તમે વિચારો કે શું મને નવી દુનિયામાં જવા મળશે? તમને એનો જવાબ હવે પછીના પ્રકરણમાં મળશે. એમાં હઝકિયેલના પુસ્તકના છેલ્લા અમુક અધ્યાયોની વાત કરીશું.
a ગુલામીમાં રહેતા યહૂદીઓને ખબર હતી કે તેઓના દેશમાં કઈ જગ્યાએ નદીઓ છે અને કઈ જગ્યાએ પર્વતો છે. દર્શનમાં જોયેલી નદી ઊંચા પર્વત પરના મંદિરમાંથી નીકળતી હતી. પણ એ જગ્યાએ એવો કોઈ ઊંચો પર્વત ન હતો. યહૂદીઓ જાણતા હતા કે યરૂશાલેમથી નીકળીને કોઈ નદી સીધેસીધી મૃત સરોવરમાં મળી જાય, એ શક્ય ન હતું. કેમ નહિ? ત્યાં તો અનેક જગ્યાએ પહાડો આવેલા હતા. એટલે પાણી એના પરથી વહીને સરોવરમાં મળે, એ અશક્ય હતું.
b બાઇબલના ટીકાકારોનું કહેવું છે કે આ બનાવ સારી વાત જ કરે છે. મીઠું કોઈ ચીજને બગડી જતા રોકે છે. એટલે મૃત સરોવરના વિસ્તારમાં લાંબા સમયથી મીઠાનો ધમધોકાર વેપાર ચાલે છે. પણ ધ્યાન આપો કે અહેવાલ બતાવે છે કે એ ખાબોચિયાં અથવા એ જગ્યાઓ મીઠી થશે નહિ. યહોવાના મંદિરમાંથી વહેતી નદીનું જીવન આપનાર પાણી તેઓ સુધી પહોંચશે નહિ. એટલે તેઓ ‘ખારા જ રહેશે.’ એમાં કોઈ પ્રાણી કે માછલી રહેશે નહિ. આ અહેવાલમાં ખારાશ કોઈ સારી નહિ, પણ ખરાબ વાતને રજૂ કરે છે. —ગીત. ૧૦૭:૩૩, ૩૪; યર્મિ. ૧૭:૬.
c ઈસુએ મોટી જાળનો દાખલો આપ્યો ત્યારે પણ એવું જ કંઈક કીધું હતું. જાળમાં દરેક પ્રકારની માછલીઓ પકડાય છે. પણ બધી માછલીઓ “સારી” નથી હોતી. ખરાબ માછલીઓ ફેંકી દેવામાં આવે છે. આ દાખલાથી ઈસુ કઈ ચેતવણી આપતા હતા? એ જ કે અમુક લોકો યહોવાના સંગઠનમાં આવશે તો ખરા, પણ સમય જતાં તેઓ ખરાબ માછલીઓ જેવા થઈ જશે.—માથ. ૧૩:૪૭-૫૦; ૨ તિમો. ૨:૨૦, ૨૧.
-
-
“દેશની વહેંચણી કરો અને એનો વારસો લો”આખી ધરતી પર યહોવાની ભક્તિ!
-
-
પ્રકરણ ૨૦
“દેશની વહેંચણી કરો અને એનો વારસો લો”
ઝલક: જમીનની વહેંચણીનો શું અર્થ થાય છે?
૧, ૨. (ક) યહોવાએ હઝકિયેલને શું બતાવ્યું? (ખ) આપણે કયા સવાલોના જવાબ જોઈશું?
હઝકિયેલે હમણાં જ એક દર્શન જોયું. એનાથી તેમને મૂસા અને યહોશુઆનો જમાનો યાદ આવ્યો હશે. લગભગ ૯૦૦ વર્ષ પહેલાં યહોવાએ મૂસાને બતાવ્યું હતું કે વચનના દેશની સરહદો કેટલેથી કેટલે સુધી છે. પછી યહોવાએ યહોશુઆને બતાવ્યું કે દેશની જમીન ઇઝરાયેલનાં કુળોને કઈ રીતે વહેંચી આપવાની છે. (ગણ. ૩૪:૧-૧૫; યહો. ૧૩:૭; ૨૨:૪, ૯) પછી ઈ.સ. પૂર્વે ૫૯૩માં શું થયું? યહોવાએ હઝકિયેલ અને ગુલામીમાં રહેતા યહૂદીઓને શું કીધું? એ જ કે ફરીથી વચનના દેશની જમીન ઇઝરાયેલનાં કુળોને વહેંચી આપવામાં આવે.—હઝકિ. ૪૫:૧; ૪૭:૧૪; ૪૮:૨૯.
૨ હઝકિયેલ અને યહૂદીઓ માટે એ દર્શનનો શું અર્થ થતો હતો? આજે ઈશ્વરના લોકોને એ દર્શન વિશે જાણીને કેમ ખુશી થાય છે? આ ભવિષ્યવાણી ભાવિમાં મોટા પાયે પૂરી થશે ખરી?
ચાર આશીર્વાદોનું વચન
૩, ૪. (ક) યહોવાએ હઝકિયેલના છેલ્લા દર્શનમાં કયાં ચાર વચનો આપ્યાં? (ખ) આ પ્રકરણમાં આપણે કયા વચન વિશે જોઈશું?
૩ હઝકિયેલે જોયેલું આ છેલ્લું દર્શન હતું. એના વિશે હઝકિયેલના પુસ્તકના છેલ્લા નવ અધ્યાયો જણાવે છે. (હઝકિ. ૪૦:૧–૪૮:૩૫) ગુલામીમાં રહેતા લોકોને આ દર્શન દ્વારા ચાર આશીર્વાદોનું વચન આપવામાં આવ્યું. તેઓને જણાવવામાં આવ્યું કે જ્યારે તેઓ પોતાના વતન પાછા જશે, ત્યારે તેઓને કેટલા બધા આશીર્વાદો મળશે. પહેલું વચન, યહોવાની ભક્તિ અગાઉની જેમ તેમના મંદિરમાં ફરીથી શરૂ થશે. બીજું વચન, યહોવાનાં ઊંચાં ધોરણો પ્રમાણે જીવનારા યાજકો અને આગેવાનો ફરીથી ઇઝરાયેલી લોકોની દેખરેખ રાખશે. ત્રીજું વચન, દરેકને દેશની જમીનનો અમુક ભાગ વારસા તરીકે ચોક્કસ મળશે. ચોથું વચન, યહોવા તેઓની સાથે હશે, જાણે તેઓની વચ્ચે રહેશે.
૪ આ પુસ્તકનાં પ્રકરણ ૧૩ અને ૧૪માં પહેલા અને બીજા વચન વિશે જણાવ્યું હતું. એમાં સમજાવ્યું હતું કે ઈશ્વરની ભક્તિ કઈ રીતે ફરી શરૂ થશે અને નેક દિલ આગેવાનો કઈ રીતે યહોવાના લોકોની દેખરેખ રાખશે. આ પ્રકરણમાં આપણે ત્રીજા વચન વિશે જોઈશું, જે વારસા તરીકે જમીન વહેંચી આપવા વિશે જણાવે છે. આના પછીના પ્રકરણમાં ચોથા વચન વિશે જોઈશું, જે જણાવે છે કે કઈ રીતે યહોવા પોતાના લોકોની વચ્ચે રહેશે.—હઝકિ. ૪૭:૧૩-૨૧; ૪૮:૧-૭, ૨૩-૨૯.
‘આ દેશ તમને વારસા તરીકે આપું છું’
૫, ૬. (ક) દર્શનમાં જે વિસ્તારની જમીન વહેંચી આપવાની વાત થાય છે, એ શાને રજૂ કરતો હતો? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) દર્શનમાં કેમ બતાવવામાં આવ્યું કે જમીનની વહેંચણી કઈ રીતે થશે?
૫ હઝકિયેલ ૪૭:૧૪ વાંચો. યહોવા હઝકિયેલને દર્શનમાં એક મોટો વિસ્તાર બતાવે છે. બહુ જલદી એ વિસ્તાર “એદન બાગ” જેવો સુંદર બની જશે. (હઝકિ. ૩૬:૩૫) યહોવા કહે છે કે “ઇઝરાયેલનાં ૧૨ કુળોને તમે આ વિસ્તાર વારસા તરીકે વહેંચી આપજો.” (હઝકિ. ૪૭:૧૩) એ “વિસ્તાર” શાને રજૂ કરે છે? એ ઇઝરાયેલ દેશને રજૂ કરે છે, જ્યાં યહૂદીઓ ગુલામીમાંથી પાછા ફરીને રહેવા લાગશે. પછી હઝકિયેલ ૪૭:૧૫-૨૧ જણાવે છે તેમ, યહોવાએ શું કીધું? એમાં તેમણે સાફ સાફ જણાવ્યું કે દેશની સરહદ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ચારે બાજુ ક્યાંથી ક્યાં સુધી હશે.
૬ યહોવાએ હઝકિયેલને બતાવ્યું કે દેશની જમીન કઈ રીતે વહેંચી આપવામાં આવશે. યહોવાએ કેમ એ દર્શન બતાવ્યું? એનું કારણ એ કે યહોવા હઝકિયેલને અને તેમની સાથે ગુલામીમાં હતા, તેઓને ખાતરી આપવા માંગતા હતા. શાની ખાતરી? એ જ કે તેઓ પોતાના વતન પાછા જશે અને એમાં રહેવા લાગશે. યહોવાએ સાફ સાફ બતાવ્યું કે સરહદો ક્યાંથી ક્યાં સુધી હશે. એ પણ કીધું કે દેશની જમીન ઇઝરાયેલનાં કુળોમાં કઈ રીતે વહેંચી આપવામાં આવશે. જરા કલ્પના કરો, એ બધું સાંભળીને લોકો પોતાના વતન પાછા ફરવા વિશે કેવાં કેવાં સપનાં જોવા લાગ્યા હશે! પણ સવાલ એ થાય કે શું તેઓનાં સપનાં સાચાં પડ્યાં? તેઓ પોતાના વતન પાછા ફર્યા ત્યારે, શું તેઓ દરેકના ભાગે વારસા તરીકે જમીન આવી? હા ચોક્કસ આવી!
૭. (ક) ઈ.સ. પૂર્વે પ૩૭માં શું થવા લાગ્યું? (ખ) આપણા સમયમાં શું બન્યું છે? (ગ) આપણે પહેલા કયા સવાલનો જવાબ જોઈશું?
૭ હઝકિયેલે આ દર્શન જોયું એના આશરે ૫૬ વર્ષો પછી શું થયું? ઈ.સ. પૂર્વે ૫૩૭માં હજારો યહૂદીઓ ગુલામીમાંથી આઝાદ થઈને ઇઝરાયેલ દેશ પાછા આવ્યા અને ત્યાં રહેવા લાગ્યા. આપણા સમયમાં પણ એવું જ કંઈક બને છે. યહોવાના લોકોને જાણે એક “દેશ” વારસામાં આપવામાં આવ્યો છે. એમાં તેઓ પૂરાં દિલથી યહોવાની ભક્તિ કરે છે. પહેલાંના સમયમાં જે રીતે યહોવાની ભક્તિ ફરી શરૂ થઈ, એનો વિચાર કરીએ. એનાથી શીખવા મળશે કે આપણા સમયમાં યહોવાની ભક્તિ કઈ રીતે ફરી શરૂ થઈ. એ જોતા પહેલાં, ચાલો આ સવાલનો જવાબ જોઈએ: “આપણે શાના પરથી કહીએ છીએ કે આજે યહોવાના લોકો જાણે એક ‘દેશમાં’ રહે છે?”
૮. (ક) યહોવાએ ઇઝરાયેલી લોકોને છોડીને કોને પોતાની ખાસ પ્રજા બનાવી? (ખ) યહોવાના લોકોને વારસામાં મળેલો “દેશ” શું છે? (ગ) એ “દેશ” ક્યારે આપવામાં આવ્યો અને એમાં કોણ કોણ રહે છે?
૮ ઘણા સમય પહેલાં યહોવાએ હઝકિયેલને એક દર્શનમાં બતાવ્યું હતું કે તેમનો “સેવક દાઉદ,” એટલે કે ઈસુ ખ્રિસ્ત રાજ કરશે. તેમનું રાજ શરૂ થયા પછી શું બનશે? ઇઝરાયેલ દેશમાં લોકો ફરીથી રહેવા લાગશે, એ વિશેની ભવિષ્યવાણીઓ મોટા પાયે પૂરી થવા લાગશે. (હઝકિ. ૩૭:૨૪) ઈસુને ૧૯૧૪માં રાજા બનાવવામાં આવ્યા. આ બધી ભવિષ્યવાણીઓ મોટા પાયે એના પછી જ પૂરી થવાની શરૂ થઈ હશે. ઇઝરાયેલી લોકો હવે યહોવાના લોકો રહ્યા નહિ. યહોવાએ તેઓને ૧૯૧૪થી ઘણા સમય પહેલાં છોડી દીધા હતા. તેઓના બદલે યહોવાએ અભિષિક્ત લોકોથી બનેલી એક ખાસ પ્રજા પસંદ કરી લીધી. તેઓને ઈશ્વરનું ઇઝરાયેલ કહેવામાં આવે છે. (માથ્થી ૨૧:૪૩; ૧ પિતર ૨:૯ વાંચો.) પછી યહોવાએ ઇઝરાયેલ દેશના બદલે પોતાના લોકોને બીજો એક દેશ રહેવા માટે આપ્યો. (યશા. ૬૬:૮) આ પુસ્તકના પ્રકરણ ૧૭માં જોઈ ગયા તેમ, બાકી રહેલા અભિષિક્ત લોકો ૧૯૧૯થી એ ‘દેશમાં’ રહેવા લાગ્યા. એનો મતલબ એ થાય કે તેઓ એકદમ શુદ્ધ થયા. તેઓ એટલી હદે શુદ્ધ થયા કે તેઓ યહોવાને પસંદ પડે એવી પૂરાં દિલથી ભક્તિ કરી શકે. (“૧૯૧૯ જ કેમ?” બૉક્સ ૯-ક જુઓ.) પછી “બીજાં ઘેટાં,” એટલે કે પૃથ્વી પર રહેવાની આશા રાખનારા ઈશ્વરભક્તો પણ તેઓ સાથે એ ‘દેશમાં’ રહેવા લાગ્યા. તેઓ ભેગા મળીને યહોવાની ભક્તિ કરવા લાગ્યા. (યોહા. ૧૦:૧૬) યહોવાએ પોતાના લોકોને આપેલા આ ‘દેશની’ સરહદો વધતી ને વધતી જાય છે. આજે આપણને એના અનેક આશીર્વાદો મળે છે. પણ એનાથી મળનારા આશીર્વાદોનો ભરપૂર આનંદ આપણે ક્યારે ઉઠાવીશું? એ તો આર્માગેદન પછી આવનારી નવી દુનિયામાં જ મળશે.
જમીનની એકસરખી અને બરાબર રીતે વહેંચણી
૯. યહોવાએ જમીનની વહેંચણી વિશે શું કીધું?
૯ હઝકિયેલ ૪૮:૧, ૨૮ વાંચો. યહોવાએ બતાવ્યું કે ઇઝરાયેલ દેશની સરહદો ક્યાંથી ક્યાં સુધી હશે. એના પછી તેમણે સાફ સાફ જણાવ્યું કે એક પછી એક ઇઝરાયેલનાં કુળોને ક્યાંથી ક્યાં સુધી જમીન મળશે. યહોવાએ કીધું કે ઉત્તરથી દક્ષિણ સુધી ઇઝરાયેલનાં ૧૨ કુળોને એકસરખી અને બરાબર રીતે જમીનનો વારસો વહેંચી આપવામાં આવશે. છેક ઉપર ઉત્તરના છેડે દાન કુળને જમીન આપવામાં આવશે. એના પછી બીજાં કુળોને એક એક કરીને જમીન આપવામાં આવશે. છેક નીચે દક્ષિણના છેડે ગાદ કુળને જમીન આપવામાં આવશે. આ રીતે ૧૨ કુળોને જે જમીનનો વારસો આપવામાં આવ્યો, એ જમણેથી ડાબે સુધી ફેલાયેલો હતો, એટલે કે પૂર્વથી પશ્ચિમ સુધી. ત્યાં મોટો સમુદ્ર, એટલે કે ભૂમધ્ય સમુદ્ર આવેલો છે.—હઝકિ. ૪૭:૨૦; “જમીનની વહેંચણી” બૉક્સમાં આપેલો નકશો જુઓ.
૧૦. દર્શન વિશે સાંભળીને યહૂદીઓને કેમ ઘણો દિલાસો મળ્યો હશે?
૧૦ ગુલામીમાં રહેતા યહૂદીઓને હઝકિયેલે આ દર્શન વિશે જણાવ્યું. તેમણે કીધું કે કઈ રીતે દેશની જમીનની એકસરખી અને કાયદેસર રીતે વહેંચણી કરવામાં આવશે. હઝકિયેલે તેઓને એ દર્શનની નાનામાં નાની વિગતો જણાવી. એ સાંભળીને યહૂદીઓને કેવું લાગ્યું હશે? તેઓને ઘણો દિલાસો મળ્યો હશે કે પોતાના વતનની જમીન આ રીતે વહેંચી આપવામાં આવશે. એ દર્શનમાં એવું પણ કીધું હતું કે બારેય કુળોને ક્યાંથી ક્યાં સુધીની જમીન મળશે. એ સાંભળીને ગુલામીમાં રહેતા દરેક યહૂદીને કઈ વાતનો પાકો ભરોસો થયો હશે? એ જ કે જ્યારે તેઓ પોતાના વતન પાછા જાય, ત્યારે દરેકને પોતાના હિસ્સાની જમીન વારસા તરીકે ચોક્કસ મળશે. દરેક પાસે પોતપોતાની જગ્યા હશે. કોઈ એવું નહિ હોય, જેની પાસે પોતાની જમીન કે પોતાનું ઘર નહિ હોય.
૧૧. આ દર્શનથી શું શીખવા મળે છે? (“જમીનની વહેંચણી” બૉક્સ જુઓ.)
૧૧ આ દર્શનથી આપણને ઘણું શીખવા મળે છે. યાદ કરો, યહૂદીઓ ગુલામીમાંથી વચનના દેશમાં પાછા આવ્યા ત્યારે શું થયું? એ વખતે યાજકો, લેવીઓ અને આગેવાનોને જમીન આપવામાં આવી. એટલું જ નહિ, બારેય કુળોના બધા લોકોને વારસા તરીકે જમીન આપવામાં આવી. (હઝકિ. ૪૫:૪, ૫, ૭, ૮) એ દેશમાં દરેક ઇઝરાયેલી પાસે પોતાની જમીન હતી. એવી જ રીતે, આજે યહોવાના લોકોના ‘દેશમાં’ બધા માટે જગ્યા છે, જ્યાં તેઓ પૂરાં દિલથી તેમની ભક્તિ કરે છે. એમાં અભિષિક્ત લોકોમાંથી બાકી રહેલા અને ‘મોટા ટોળાના’ આગેવાનો માટે જગ્યા છે. એમાં મોટા ટોળાના બધા ભક્તો માટે પણ જગ્યા છે.a (પ્રકટી. ૭:૯) ભલે આપણે યહોવાના સંગઠનમાં કોઈ નાનું-મોટું કામ કરતા હોઈએ, પણ આપણે દરેક યહોવાની નજરમાં અનમોલ છીએ. યહોવાના સંગઠનમાં બધા મહત્ત્વના છે, એ જાણીને કેટલું સારું લાગે છે!
આપણે સંગઠનમાં જે કંઈ કરીએ છીએ, યહોવા એને ખૂબ જ અનમોલ ગણે છે (ફકરો ૧૧ જુઓ)
બે ખાસ ફરક—એનો આપણા માટે શું અર્થ થાય?
૧૨, ૧૩. જમીનની વહેંચણી વિશે યહોવાએ કઈ આજ્ઞા આપી?
૧૨ યહોવાએ જમીનની વહેંચણી માટે અમુક આજ્ઞાઓ આપી. એ સાંભળીને હઝકિયેલ મૂંઝવણમાં મુકાઈ ગયા હશે. યહોવાએ ઘણા સમય પહેલાં, મૂસાને જે આજ્ઞાઓ આપી હતી, એનાથી આ કંઈક અલગ જ હતી. ચાલો એવા બે ફરક વિશે જોઈએ. એક, જમીન વિશે અને બીજો, ત્યાં રહેનારા લોકો વિશે.
૧૩ પહેલો ફરક, જમીન. જમીનની વહેંચણી વિશે મૂસાને આજ્ઞા આપવામાં આવી હતી કે જે કુળ નાનું હોય, એને ઓછી જમીન આપવામાં આવે અને જે કુળ મોટું હોય, એને વધારે જમીન આપવામાં આવે. (ગણ. ૨૬:૫૨-૫૪) પણ યહોવાએ હઝકિયેલને સાફ સાફ કીધું કે બધાં કુળોને “એકસરખો” ભાગ મળશે. એનો અર્થ થાય કે “દરેકને પોતાના ભાઈ જેટલો વારસો મળશે.” (હઝકિ. ૪૭:૧૪, ફૂટનોટ) બીજા શબ્દોમાં કહીએ તો, દરેક કુળની જમીનનો વારસો છેક ઉત્તરના છેડાથી લઈને દક્ષિણના છેડા સુધી એકસરખો હશે. એટલે તેઓ ભલે ગમે એ કુળના હોય, દરેક ઇઝરાયેલીને એ સરસ મજાની જમીનનો ફાયદો મળશે. એમાં મળતા ભરપૂર પાણીનો લાભ લઈને તે સારી રીતે ખેતીવાડી કરી શકશે.
૧૪. યહોવાએ પરદેશીઓ માટે જે આજ્ઞાઓ આપી, એ કઈ રીતે મૂસાના નિયમ કરતાં અલગ જ હતી?
૧૪ બીજો ફરક, ત્યાં રહેનારા લોકો. મૂસાના નિયમશાસ્ત્રમાં પરદેશીઓની સલામતી માટે નિયમો હતા. તેઓ તન-મનથી યહોવાની ભક્તિ કરી શકતા હતા. પણ તેઓને દેશમાં વારસા તરીકે કોઈ જમીન મળી ન હતી. (લેવી. ૧૯:૩૩, ૩૪) ઇઝરાયેલી લોકો અને પરદેશીઓ વચ્ચે આ એક મોટો ફરક હતો. પણ યહોવાએ હઝકિયેલને દર્શનમાં એવી આજ્ઞા આપી, જે મૂસાના નિયમો કરતાં એકદમ અલગ હતી. યહોવાએ હઝકિયેલને કીધું: “પરદેશી માણસ જે કુળના વિસ્તારમાં રહેતો હોય, એમાં તમારે તેને વારસો આપવો.” યહોવાની આ આજ્ઞાને લીધે “ઇઝરાયેલમાં જન્મેલા વતનીઓ” અને પરદેશીઓ વચ્ચે હવે કોઈ ફરક રહ્યો નહિ. (હઝકિ. ૪૭:૨૨, ૨૩) હઝકિયેલે દર્શનમાં જોયું કે જે દેશમાં લોકો ફરીથી રહેવા લાગ્યા, એમાં કોઈની સાથે ભેદભાવ કરવામાં નથી આવતો. બધાને એકસરખા ગણવામાં આવે છે. તેઓ હળી-મળીને યહોવાની ભક્તિ કરે છે.—લેવી. ૨૫:૨૩.
૧૫. જમીન અને ત્યાં રહેનારા લોકો વિશે જે આજ્ઞાઓ આપવામાં આવી, એનાથી કઈ હકીકત સાબિત થાય છે?
૧૫ યહોવાએ હઝકિયેલને દર્શનમાં કેટલી સરસ બે આજ્ઞાઓ આપી! એનાથી ગુલામીમાં રહેતા યહૂદીઓનાં મનને કેટલી શાંતિ મળી હશે! તેઓને આ વાતનો પાકો ભરોસો થઈ ગયો હશે: યહોવા પોતાના દરેક ભક્તને જમીનનો એકસરખો હિસ્સો આપશે, ભલે પછી તેઓ ઇઝરાયેલમાં જન્મેલા વતની હોય કે પરદેશી. (એઝ. ૮:૨૦; નહે. ૩:૨૬; ૭:૬, ૨૫; યશા. ૫૬:૩, ૮) એ માર્ગદર્શનથી તેઓને કેટલી બધી હિંમત મળી હશે! એના પરથી આ એક હકીકત પણ સાબિત થઈ ગઈ કે યહોવાની નજરમાં તેમનો દરેક ભક્ત અનમોલ મોતી જેવો છે. (હાગ્ગાય ૨:૭ વાંચો.) આ એક એવું સનાતન સત્ય છે, જે કદી બદલાતું નથી. ભલે આપણી આશા સ્વર્ગમાં જીવવાની હોય કે ધરતી પર, યહોવા આપણને બેહદ ચાહે છે. એ જાણીને આપણા રોમેરોમમાં જોશ ભરાઈ જાય છે.
૧૬, ૧૭. (ક) જમીન અને ત્યાં રહેનારા લોકો વિશે જે જાણવા મળ્યું એનાથી શું શીખવા મળે છે? (ખ) હવે પછીના પ્રકરણમાં શાના વિશે વાત કરીશું?
૧૬ દેશની જમીન અને ત્યાં રહેનારા લોકો વિશે જે જાણવા મળ્યું, એનાથી શું શીખવા મળે છે? એ જ કે આખી દુનિયામાં આપણી વચ્ચેનો અજોડ સંપ દેખાય આવવો જોઈએ. આપણાં વાણી-વર્તનથી દેખાય આવવું જોઈએ કે આપણે બધાને પ્રેમ કરીએ છીએ. યહોવા કોઈની સાથે ભેદભાવ કરતા નથી. એટલે આપણે આનો વિચાર કરીએ: ‘આપણાં ભાઈ-બહેનો જુદી જુદી ભાષા બોલે છે. તેઓ અલગ અલગ દેશમાં રહે છે. તેઓના સંજોગો પણ અલગ હોય છે. તોપણ, શું હું યહોવાની જેમ તેઓની સાથે એકસરખી રીતે વર્તું છું? શું હું બધાં ભાઈ-બહેનોને દિલથી માન આપું છું?’ (રોમ. ૧૨:૧૦) આપણે કેટલા ખુશ છીએ કે યહોવાએ પોતાના લોકોના ‘દેશમાં’ આપણને રહેવાનો મોકો આપ્યો છે. તેમણે કોઈ ભેદભાવ રાખ્યો નથી. એ ‘દેશમાં’ આપણે બધા ભેગા મળીને દિલથી યહોવાની ભક્તિ કરીએ છીએ. આપણે પૂરાં તન-મનથી યહોવાની સેવા કરીએ છીએ અને તેમના આશીર્વાદો મેળવીએ છીએ.—ગલા. ૩:૨૬-૨૯; પ્રકટી. ૭:૯.
શું આપણે યહોવાની જેમ બધા સાથે એકસરખી રીતે વર્તીએ છીએ અને બધાને માન આપીએ છીએ? (ફકરા ૧૫, ૧૬ જુઓ)
૧૭ હઝકિયેલના છેલ્લા દર્શનના છેલ્લા ભાગમાં યહોવા આ વચન આપે છે: તે પોતાના લોકોની સાથે રહેશે. હવે પછીના પ્રકરણમાં જોઈશું કે યહોવાના આ ચોથા વચનમાંથી શું શીખવા મળે છે.
a યહોવાની શુદ્ધ ભક્તિ કરનારા લોકોના ‘દેશમાં’ યાજકો અને આગેવાનોને યહોવાએ ખાસ જગ્યા અને જવાબદારી સોંપી છે. એના વિશે વધારે જાણવા આ પુસ્તકનું ૧૪મું પ્રકરણ જુઓ.
-
-
“એ શહેર આ નામથી ઓળખાશે, ‘યહોવા ત્યાં છે’”આખી ધરતી પર યહોવાની ભક્તિ!
-
-
પ્રકરણ ૨૧
“એ શહેર આ નામથી ઓળખાશે, ‘યહોવા ત્યાં છે’”
ઝલક: શહેર અને દાનની જમીનનો અર્થ શું થાય?
૧, ૨. (ક) દેશની જમીનનો અમુક ભાગ કેમ અલગ રાખવાનું કહેવામાં આવ્યું હતું? (કવર પરનું ચિત્ર જુઓ.) (ખ) ગુલામીમાં રહેતા યહૂદીઓને દર્શન વિશે જાણીને કઈ વાતની ખાતરી થઈ હશે?
હઝકિયેલને છેલ્લા દર્શનમાં બીજું શું બતાવવામાં આવ્યું હતું? તેમને એ પણ બતાવવામાં આવ્યું કે દેશની જમીનનો અમુક ભાગ અલગ રાખવો. શા માટે? એ જમીન યહોવા માટે દાનની જમીન તરીકે અલગ રાખવાની હતી. એ ઇઝરાયેલના કોઈ પણ કુળને વારસામાં મળવાની ન હતી. હઝકિયેલને એક અનોખા શહેર વિશે પણ જણાવવામાં આવ્યું. એ શહેરનું નામ અજોડ હતું. આ દર્શન વિશે સાંભળીને ગુલામીમાં રહેતા યહૂદીઓને કેવું લાગ્યું હશે? તેઓને સોએ સો ટકા ખાતરી થઈ ગઈ હશે કે જ્યારે તેઓ પોતાના વહાલા દેશ પાછા ફરશે, ત્યારે યહોવા ચોક્કસ તેઓની સાથે હશે.
૨ હઝકિયેલ દાનની જમીન વિશે ઘણી બધી માહિતી જણાવે છે. ચાલો આપણે એ ઝીણવટથી જોઈએ. યહોવાના ભક્તો તરીકે આપણને એમાંથી ઘણું બધું શીખવા મળે છે.
‘પવિત્ર દાન અને શહેર’
૩. યહોવાએ જે જમીન અલગ રાખવાની કીધી, એના પાંચ ભાગ કયા છે અને એ કેમ અલગ રાખવામાં આવ્યા? (‘તમારે દાન માટેની જમીન અલગ રાખવી’ બૉક્સ જુઓ.)
૩ જે જમીન અલગ રાખવામાં આવી હતી (બૉક્સ ૨૧-ક, ૧), એનો એક હિસ્સો ખાસ હતો (૨). ઉત્તરથી લઈને દક્ષિણ સુધી એની પહોળાઈ ૨૫,૦૦૦ હાથ હતી (૧૩ કિ.મી.). પૂર્વથી લઈને પશ્ચિમ સુધી એની લંબાઈ પણ ૨૫,૦૦૦ હાથ હતી. એ ચોરસ જગ્યાને “દાન માટેની પૂરેપૂરી” જમીન કહેવામાં આવી (૨). એ જમીનના ત્રણ અલગ અલગ ભાગ પાડવામાં આવ્યા હતા. ઉપરનો ભાગ લેવીઓ માટે હતો. વચ્ચેનો ભાગ મંદિર અને યાજકો માટે હતો. એ બંને ભાગોને “પવિત્ર દાન” માટેની જમીન કહેવામાં આવ્યા (૪). ‘બાકી રહેલી જમીન,’ એટલે કે નીચેનો નાનો ભાગ “લોકોના વપરાશ માટે હતો” (૫). એ જમીન શહેર માટે હતી.—હઝકિ. ૪૮:૧૫, ૨૦.
૪. યહોવાને આપેલા દાન પરથી શું શીખવા મળે છે?
૪ યહોવાને આપેલા આ દાન પરથી આપણને શું શીખવા મળે છે? ધ્યાન આપો, યહોવાએ કીધું હતું કે સૌથી પહેલા દેશની જમીનનો એક ભાગ દાનની જમીન તરીકે અલગ રાખવામાં આવે. પછી બાકીની જમીન બધાં કુળોમાં વહેંચી આપવામાં આવે. આમ કહીને યહોવાએ એ વાત પર ભાર આપ્યો કે દેશમાં તેમની ભક્તિ માટે અલગ જગ્યા હોવી જ જોઈએ. ઈશ્વરભક્તોનાં જીવનમાં યહોવાની ભક્તિ સૌથી પહેલા હોવી જોઈએ. (હઝકિ. ૪૫:૧) ગુલામીમાં રહેતા યહૂદીઓને આના પરથી શું શીખવા મળ્યું હશે? એ જ કે તેઓનાં જીવનમાં યહોવાની ભક્તિ સૌથી પહેલા, પછી બીજું બધું. આપણે પણ યહોવાની ભક્તિ આપણાં જીવનમાં સૌથી પહેલા રાખવી જોઈએ. જેમ કે, બાઇબલ વાંચવું, સભાઓમાં જવું અને ખુશખબર જણાવવી. યહોવા પોતે સાફ સાફ જણાવે છે કે આપણાં રોજનાં જીવનમાં એકદમ મહત્ત્વનું શું હોવું જોઈએ. એ છે યહોવાની ભક્તિ!
“જમીનની વચ્ચે શહેર હશે”
૫, ૬. (ક) શહેરની જમીન કોના માટે હતી? (ખ) શહેરનો મતલબ શું નથી થતો? કેમ એવું?
૫ હઝકિયેલ ૪૮:૧૫ વાંચો. “શહેર” અને એની આજુબાજુની જમીનનો શું મતલબ થતો હતો? (હઝકિ. ૪૮:૧૬-૧૮) દર્શનમાં યહોવાએ હઝકિયેલને જણાવ્યું કે ‘શહેરના વારસાની જગ્યા ઇઝરાયેલના બધા લોકો માટે હશે.’ (હઝકિ. ૪૫:૬, ૭) એનાથી શું ખબર પડે છે? શહેર અને એની આસપાસની જમીન “પવિત્ર દાનની” જમીનનો ભાગ ન હતી. પવિત્ર દાનની જમીન ‘યહોવા માટે અલગ કરવાની’ હતી. (હઝકિ. ૪૮:૯) એ વાત ધ્યાનમાં રાખીએ અને જોઈએ કે શહેર માટે કરવામાં આવેલી ગોઠવણોથી શું શીખવા મળે છે.
૬ ચાલો પહેલા જોઈએ કે શહેરનો મતલબ શું નથી થતો. એના પછી જોઈશું કે શહેર માટે કરેલી ગોઠવણોથી શું શીખવા મળે છે. દર્શનનું એ શહેર શું ન હોય શકે? એ ફરીથી વસાવેલું યરૂશાલેમ શહેર ન હોય શકે, જ્યાં મંદિર બનાવવામાં આવ્યું હતું. કેમ એવું? હઝકિયેલે દર્શનમાં જે શહેર જોયું, એમાં મંદિર ન હતું. દર્શનનું શહેર ફરીથી વસાવેલા ઇઝરાયેલનું બીજું કોઈ શહેર પણ નથી. દર્શનમાં જેવા શહેર વિશે જણાવ્યું છે, એવું કોઈ શહેર યહૂદીઓએ ગુલામીમાંથી પાછા ફરીને બનાવ્યું ન હતું. તેઓના વંશજોએ પણ ક્યારેય એવું શહેર બનાવ્યું ન હતું. દર્શનનું શહેર સ્વર્ગને પણ રજૂ કરી ન શકે. એનું કારણ એ કે દર્શનનું શહેર તો ‘લોકો માટેની જગ્યામાં’ બનાવવામાં આવ્યું હતું. એ જગ્યા યહોવાની ભક્તિની પવિત્ર જગ્યા કરતાં અલગ હતી.—હઝકિ. ૪૨:૨૦.
૭. (ક) હઝકિયેલે જે શહેર જોયું, એ શું હતું? (ખ) એ શહેર શાને રજૂ કરતું હોય શકે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૭ તો પછી હઝકિયેલે જોયેલું એ શહેર છે શું? યાદ કરો કે હઝકિયેલે જે દર્શનમાં દેશ જોયો હતો, એ જ દર્શનમાં શહેર પણ જોયું હતું. (હઝકિ. ૪૦:૨; ૪૫:૧, ૬) બાઇબલ જણાવે છે કે એ દેશ સાચૂકલો દેશ નથી પણ ઈશ્વરભક્તોનો “દેશ” છે, જ્યાં તેઓ યહોવાની ભક્તિ કરે છે. એટલે દર્શનમાંના શહેરનું પણ એવું જ હોવું જોઈએ. એ પણ કોઈ સાચૂકલું શહેર નથી. આપણે શહેરની વાત કરીએ ત્યારે મનમાં કેવું ચિત્ર ઊભું થાય છે? આપણે એવી કોઈ જગ્યાની કલ્પના કરીએ છીએ, જેમાં લોકો ભેગા મળીને રહેતા હોય. એમાં કાયદા-કાનૂન હોય. બધું નિયમો પ્રમાણે કરવામાં આવતું હોય. એ ધ્યાનમાં રાખીને હઝકિયેલે જોયેલા ચોરસ આકારના શહેરનો વિચાર કરીએ. એમાં પણ નીતિ-નિયમો છે. એવું લાગે છે કે એ શહેર એવા કોઈ સંગઠનને રજૂ કરે છે, જેમાં જોરદાર ગોઠવણો કરેલી હોય.
૮. (ક) આ સંગઠન ક્યાં છે? (ખ) આપણે એમ શાના પરથી કહીએ છીએ?
૮ આ સંગઠન ક્યાં છે? દર્શનમાં બતાવ્યું છે કે શહેર યહોવાની ભક્તિ કરનારા લોકોના દેશમાં છે. એનાથી જાણવા મળે છે કે યહોવાના લોકો જે કંઈ કરે છે, એમાં આ સંગઠન તેઓને માર્ગદર્શન આપે છે. એ પણ ન ભૂલીએ કે એ શહેર તો લોકો માટેની જગ્યા પર બાંધવામાં આવ્યું હતું, પવિત્ર જગ્યા પર નહિ. એનાથી ખબર પડે છે કે એ શહેર સ્વર્ગના કોઈ સંગઠનને રજૂ કરતું નથી. પણ એ શહેર તો પૃથ્વી પરના એક સંગઠનને રજૂ કરે છે. એ સંગઠન ઈશ્વરભક્તોને બનતી બધી મદદ પૂરી પાડે છે, જેથી તેઓ યહોવાની શુદ્ધ ભક્તિ કરી શકે.
૯. (ક) ધરતી પરના સંગઠનમાં કોણ કામ કરે છે? (ખ) હજાર વર્ષના રાજમાં ઈસુ શું કરશે?
૯ ધરતી પરના એ સંગઠનમાં કોણ કામ કરે છે? હઝકિયેલના દર્શનમાં શહેરનું સરકારી કામકાજ કરનારને ‘આગેવાન’ કહેવામાં આવે છે. (હઝકિ. ૪૫:૭) તે યહોવાના લોકોના આગેવાન હતા. તે ન તો યાજક હતા, ન તો લેવી. એ આગેવાન આપણને મંડળની આગેવાની લેનારા વડીલોની યાદ અપાવે છે. ખાસ કરીને ‘બીજાં ઘેટાંના’ વડીલોની. (યોહા. ૧૦:૧૬) આ ભાઈઓ બહુ નમ્ર છે. તેઓ અભિષિક્ત ભાઈઓ નથી. તેઓ ખ્રિસ્તની સ્વર્ગની સરકારના કહેવા પ્રમાણે કરે છે. તેઓને આપણા બધા પર બહુ પ્રેમ છે. એટલે જેમ ઘેટાંપાળક ઘેટાંની સંભાળ રાખે, તેમ તેઓ આપણી પ્રેમથી સંભાળ રાખે છે. આવનાર હજાર વર્ષના રાજમાં ઈસુ “આખી પૃથ્વી પર આગેવાનો” ઠરાવશે. એ આગેવાનો એટલે એવા વડીલો, જેઓ યોગ્ય હોય અને બહુ પ્રેમથી ઈશ્વરભક્તોની સંભાળ રાખતા હોય. (ગીત. ૪૫:૧૬) આ વડીલો ઈશ્વરના રાજ્યમાં મળતું માર્ગદર્શન પૂરાં દિલથી પાળશે. તેઓ ઈશ્વરભક્તોની બહુ સારી રીતે દેખરેખ રાખશે.
“યહોવા ત્યાં છે”
૧૦. (ક) શહેરનું નામ શું છે? (ખ) એ નામથી લોકોને કઈ વાતની પાકી ખાતરી થઈ હશે?
૧૦ હઝકિયેલ ૪૮:૩૫ વાંચો. શહેરનું નામ છે, “યહોવા ત્યાં છે.” આ શહેરથી લોકોને ભરોસો બેઠો હશે કે યહોવા તેઓની સાથે છે. યહોવાએ હઝકિયેલને દર્શનમાં બતાવ્યું કે એ શહેર દેશની વચ્ચોવચ છે. ગુલામીમાં રહેતા યહૂદીઓને એનાથી યહોવા પાકી ખાતરી કરાવતા હતા. તે જાણે તેઓને કહેતા હતા કે ‘હું ફરીથી તમારી સાથે રહીશ!’ એ જાણીને તેઓને કેટલી બધી હિંમત મળી હશે!
૧૧. શહેર અને એના નામ પરથી શું શીખવા મળે છે?
૧૧ હઝકિયેલના દર્શન વિશે જે જોયું, એનાથી શું શીખવા મળે છે? ચાલો પહેલા શહેરના નામ વિશે જોઈએ. એ નામથી સોએ સો ટકા ખાતરી મળે છે કે યહોવા ધરતી પરના પોતાના વફાદાર ભક્તો સાથે છે અને હંમેશાં રહેશે. શહેરના આ અજોડ નામથી એક સચ્ચાઈ બહાર આવે છે. એ શહેર અથવા સંગઠન લોકોને કોઈ જવાબદારી નથી સોંપતું. પણ એ તો યહોવાની આજ્ઞાઓ પાળવા લોકોને મદદ કરે છે. યહોવાની આજ્ઞાઓ ભારે નથી. એ તો આપણા ભલા માટે છે. દાખલા તરીકે, દર્શનમાં યહોવાએ જમીન વહેંચી આપવાની જવાબદારી સંગઠનને ન સોંપી. કેમ નહિ? કેમ કે માણસો તો મન ફાવે એમ જમીન વહેંચી દે. પણ યહોવાએ પોતે બધાં કુળોને જમીન વહેંચી આપી હતી. એવી જ રીતે, આજે યહોવાએ પોતાના દરેક ભક્તને જાણે જમીનનો એક ભાગ આપ્યો છે. યહોવાએ બધા ભક્તોને તેમની ભક્તિ કરવાનો સરસ મોકો આપ્યો છે. અરે, જેઓને દુનિયા સાવ મામૂલી ગણે છે, તેઓને પણ યહોવાએ મોકો આપ્યો છે. જેઓ સંગઠનમાં જવાબદારી ઉપાડે છે, તેઓ પાસેથી યહોવા કઈ આશા રાખે છે? એ જ કે તેઓ યહોવાના નિર્ણયો પ્રમાણે કરે.—હઝકિ. ૪૬:૧૮; ૪૮:૨૯.
૧૨. (ક) શહેરની જાણવા જેવી બીજી એક વાત કઈ છે? એનાથી શું ખબર પડે છે? (ખ) શહેરની બનાવટ પરથી આજે મંડળના વડીલો શું શીખી શકે છે?
૧૨ “યહોવા ત્યાં છે,” શહેરની જાણવા જેવી બીજી એક વાત પણ છે. એને ૧૨ દરવાજા છે! જૂના જમાનામાં શહેર સલામત રહે, એ માટે બને એટલા ઓછા દરવાજા રાખવામાં આવતા. (હઝકિ. ૪૮:૩૦-૩૪) પણ આ ચોરસ શહેરની દરેક બાજુએ ત્રણ ત્રણ દરવાજા છે. એ શું બતાવે છે? એ જ કે આ શહેરની જવાબદારી ઉપાડનારા ભાઈઓનો લોકો સાથે એકદમ પાકો સંબંધ છે. એટલે તેઓ લોકોને મદદ કરવા રાત-દિવસ તૈયાર હોય છે. એટલું જ નહિ, શહેરને ૧૨ દરવાજા છે, જે બતાવે છે કે એ બધા માટે ખુલ્લું છે. એમાં “ઇઝરાયેલના બધા લોકો” જઈ શકે છે. (હઝકિ. ૪૫:૬) આ શહેરની બનાવટ પરથી આજે મંડળના વડીલો શું શીખી શકે છે? મંડળમાં બધાં ભાઈ-બહેનો યહોવાની દિલથી ભક્તિ કરવા માંગે છે. એટલે યહોવા ચાહે છે કે વડીલો તેઓના પાકા દોસ્ત બને, જેથી બધા જ તેઓની પાસે છૂટથી આવી શકે. તેઓ બધાં ભાઈ-બહેનોને મદદ કરવા રાત-દિવસ તૈયાર હોવા જોઈએ.
વડીલો ભાઈ-બહેનો સાથે પાકી દોસ્તી રાખે છે અને મદદ કરવા હંમેશાં તૈયાર રહે છે (ફકરો ૧૨ જુઓ)
યહોવાના લોકો ‘ભક્તિ કરવા અંદર આવે’ છે અને ‘શહેરમાં સેવા આપે છે’
૧૩. યહોવાએ કઈ કઈ સેવા વિશે જણાવ્યું?
૧૩ ચાલો હઝકિયેલના સમયમાં પાછા જઈએ. હઝકિયેલે જમીનની વહેંચણી વિશેનું જે દર્શન જોયું, એનો ફરીથી વિચાર કરીએ. આપણને હજુ એમાંથી શું શીખવા મળે છે? યહોવા જણાવે છે કે લોકો અલગ અલગ રીતોએ સેવા આપશે. “મંદિરના [પવિત્ર સ્થાનના] સેવકો,” એટલે કે યાજકો બલિદાનો ચઢાવશે. તેઓ યહોવાની આગળ આવીને તેમની સેવા કરશે. “મંદિરના સેવકો,” એટલે કે લેવીઓ ‘મંદિરની સેવા માટે જે કંઈ કરવાની જરૂર હોય, એની દેખરેખ રાખશે.’ (હઝકિ. ૪૪:૧૪-૧૬; ૪૫:૪, ૫) તેઓ સિવાય બીજા પણ અમુક લોકો શહેરની નજીક આવીને કામ કરશે. તેઓ કોણ છે?
૧૪. શહેરની નજીક કામ કરનારા લોકોની જેમ આજે કોણ સેવા આપે છે?
૧૪ તેઓ “ઇઝરાયેલનાં બધાં કુળોના” લોકો છે. તેઓ શહેરની નજીક આવીને કામ કરે છે. તેઓ જે કંઈ સેવા આપે છે, એનાથી આખા શહેરના લોકોને મદદ મળે છે. તેઓ ખેતીવાડી કરે છે. એની ઊપજ ‘શહેરમાં સેવા આપનારા લોકો માટે ખોરાક પૂરો પાડે છે.’ (હઝકિ. ૪૮:૧૮, ૧૯) આજે યહોવાની ભક્તિ કરનારા લોકો પણ એક ‘દેશમાં’ રહે છે. એમાં રહેનારા બધા લોકોને પણ સેવા કરવાનો એવો જ સુંદર મોકો મળ્યો છે. કઈ રીતે? યહોવાએ આગેવાની લેવાની જવાબદારી ખ્રિસ્તના અભિષિક્ત ભાઈઓને અને ‘મોટા ટોળાના’ અમુક ભાઈઓને સોંપી છે. આપણે એ બધા ભાઈઓને પૂરો સાથ-સહકાર આપીએ. એ કેટલો જોરદાર મોકો કહેવાય! (પ્રકટી. ૭:૯, ૧૦) ખાસ કરીને આ રીતે આપણે તેઓને સાથ આપીએ: વિશ્વાસુ ચાકર જે કહે એ પૂરાં દિલથી પાળીએ.
૧૫, ૧૬. (ક) દર્શનમાં હઝકિયેલને બીજું શું બતાવવામાં આવ્યું? (ખ) આજે આપણને પણ કેવી સેવા કરવાનો મોકો મળ્યો છે?
૧૫ હઝકિયેલને દર્શનમાં બીજું કંઈક પણ બતાવવામાં આવ્યું. એના પરથી આપણને યહોવાની ભક્તિ વિશે એક મહત્ત્વની વાત શીખવા મળે છે. યહોવા હઝકિયેલને જણાવે છે કે ૧૨ કુળના લોકો બે જગ્યાએ કામ કરશે. એમાં લેવીઓનો સમાવેશ નથી થતો. લોકો જ્યાં કામ કરશે, એ બે જગ્યાઓ આ છે: મંદિરનું આંગણું અને શહેરની જમીન, એટલે કે ચરાવવાની જગ્યા. લોકો ત્યાં શું કરશે? મંદિરના આંગણામાં બધાં કુળોના લોકો યહોવાની ‘ભક્તિ કરશે.’ ત્યાં તેઓ યહોવાને બલિદાનો અર્પણ કરશે. (હઝકિ. ૪૬:૯, ૨૪) બધાં કુળના લોકો શહેરની જમીન ખેડશે અને એમાં વાવશે. એ ખેતરોમાં જે ઊગશે, એનાથી શહેરના લોકોને ઘણી મદદ મળશે. આ મહેનતુ લોકો પાસેથી આપણે શું શીખી શકીએ છીએ?
૧૬ આજે મોટા ટોળાના લોકોને પણ એવી જ સેવા કરવાનો મોકો મળ્યો છે. તેઓ યહોવાના “મંદિરમાં” તેમને ‘સ્તુતિનાં અર્પણ’ ચઢાવે છે અને તેમની ભક્તિ કરે છે. (હિબ્રૂ. ૧૩:૧૫; પ્રકટી. ૭:૯-૧૫) કઈ રીતે? તેઓ લોકોને ખુશખબર જણાવે છે. તેઓ સભાઓમાં જવાબ આપે છે અને ગીતો ગાય છે. આમ કરીને તેઓ યહોવામાં અડગ શ્રદ્ધા બતાવે છે અને તેમને અર્પણો ચઢાવે છે. આ રીતે તેઓ પૂરાં દિલથી યહોવાની ભક્તિ કરે છે. એને તેઓ પોતાનાં જીવનની સૌથી પહેલી જવાબદારી ગણે છે. (૧ કાળ. ૧૬:૨૯) એટલું જ નહિ, ઘણા ઈશ્વરભક્તો અલગ અલગ રીતે યહોવાના સંગઠનને સાથ આપે છે. જેમ કે, તેઓ પ્રાર્થનાઘરો અને શાખા કચેરીઓનાં બાંધકામ અને રિપેરકામમાં મદદ કરે છે. તેઓ યહોવાના સંગઠનના બીજાં કામોમાં પણ મદદ કરે છે. બીજા લોકો એ કામ માટે દાન આપે છે. આમ કરીને તેઓ જાણે જમીન ખેડે છે અને એમાં વાવે છે. તેઓ આ બધું “ઈશ્વરના મહિમા માટે” કરે છે. (૧ કોરીં. ૧૦:૩૧) આ બધાં કામો તેઓ પૂરા જોશથી કરે છે, એમાં દિલ રેડી દે છે. “એવાં બલિદાનોથી ઈશ્વર ઘણા ખુશ થાય છે.” (હિબ્રૂ. ૧૩:૧૬) આ રીતે તમે પણ શું પૂરાં તન-મનથી સેવા કરો છો?
હઝકિયેલે શહેરની અંદર અને દરવાજાઓ પાસે થતી સેવાઓ વિશે જે જણાવ્યું, એમાંથી શું શીખવા મળે છે? (ફકરા ૧૪-૧૬ જુઓ)
“આપણે નવાં આકાશ અને નવી પૃથ્વીની રાહ જોઈએ છીએ”
૧૭. (ક) નવી દુનિયામાં એ ભવિષ્યવાણી મોટા પાયે કઈ રીતે પૂરી થશે? (ખ) એ વખતે શહેર જેવા એ સંગઠનથી કોને મદદ મળશે?
૧૭ હઝકિયેલે દાનની જમીન વિશેનું દર્શન જોયું. શું એ ભવિષ્યવાણી નવી દુનિયામાં મોટા પાયે પૂરી થશે ખરી? હા, ચોક્કસ. હઝકિયેલે એક જમીન જોઈ, જેને “પવિત્ર દાન” કહેવામાં આવી. એમાં યહોવાનું મંદિર હતું. એ જમીન દેશની વચ્ચોવચ હતી. (હઝકિ. ૪૮:૧૦) એનાથી આપણને આ વાતની સોએ સો ટકા ખાતરી થાય છે: આર્માગેદન પછી આપણે પૃથ્વી પર ભલે ગમે ત્યાં રહેતા હોઈએ, યહોવા આપણી સાથે હશે. (પ્રકટી. ૨૧:૩) હજાર વર્ષના રાજમાં શહેર જેવું એ સંગઠન આખી પૃથ્વી પર કામ કરશે. એ સંગઠનમાં કોણ કામ કરશે? એ લોકો જેઓને ઈશ્વરભક્તોની સંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવશે. તેઓ ‘નવી પૃથ્વીના,’ એટલે કે નવા સમાજના બધા લોકોને બહુ પ્રેમથી માર્ગદર્શન આપશે અને મદદ કરશે.—૨ પિત. ૩:૧૩.
૧૮. (ક) શાના પરથી કહી શકીએ કે ધરતી પરનું શહેર જેવું સંગઠન યહોવાના રાજના કહેવા પ્રમાણે જ કરશે? (ખ) શહેરનું નામ આપણને શાની ખાતરી આપે છે?
૧૮ આપણને પૂરેપૂરો ભરોસો છે કે શહેર જેવું આ સંગઠન યહોવાના રાજમાં જે કંઈ માર્ગદર્શન મળશે, એ પ્રમાણે જ કામ કરશે. બાઇબલમાં સાફ સાફ જણાવ્યું છે કે ધરતી પરનું શહેર જેવું સંગઠન, સ્વર્ગમાંના શહેર નવા યરૂશાલેમને મળતું આવે છે. એ સંગઠન ખ્રિસ્ત સાથે રાજ કરતા ૧,૪૪,૦૦૦ રાજાઓથી બનેલું છે. જેમ સ્વર્ગમાંના શહેરને ૧૨ દરવાજા છે, તેમ ધરતી પરના શહેર જેવા સંગઠનને પણ ૧૨ દરવાજા છે. (પ્રકટી. ૨૧:૨, ૧૨, ૨૧-૨૭) એના પરથી ખબર પડે છે કે ઈશ્વરના રાજમાંથી જે કંઈ કહેવામાં આવે છે, એ પ્રમાણે જ ધરતી પરનું સંગઠન કરશે. એ સંગઠન સ્વર્ગના રાજમાં લેવાયેલા દરેક ફેંસલાને માન આપશે અને એ પ્રમાણે જ કરશે. આપણે જોઈ ગયા કે એ શહેરનું નામ છે, “યહોવા ત્યાં છે.” એના પરથી પૂરેપૂરી ખાતરી મળે છે કે યહોવાની ભક્તિ થતી રહેશે. એને કોઈ રોકી નહિ શકે. નવી દુનિયામાં વધારે ને વધારે લોકો યહોવાની ભક્તિ કરશે. યુગોના યુગો સુધી, હા, સદાને માટે યહોવાની ભક્તિ થતી રહેશે. આપણા માટે કેવું સોનેરી ભાવિ!
-