બુધવાર, સપ્ટેમ્બર ૧૦
“જો હું આ રાજીખુશીથી ન કરું, તોપણ મને સોંપેલી કારભારીની જવાબદારી મારી પાસે રહેશે.”—૧ કોરીં. ૯:૧૭.
જો તમને લાગતું હોય કે હવે તમે દિલથી પ્રાર્થના કરતા નથી અથવા પ્રચારમાં પહેલાં જેટલી મજા આવતી નથી, તો તમે શું કરી શકો? એવું વિચારી ન લેતા કે હવે તમારા માથે યહોવાનો હાથ રહ્યો નથી. પાપની અસર હોવાને લીધે લાગણીઓમાં ફેરફાર થતો રહે છે. જો તમારો ઉત્સાહ ઠંડો પડી રહ્યો હોય, તો પ્રેરિત પાઉલના દાખલાનો વિચાર કરજો. ઈસુના પગલે ચાલવા પાઉલ પૂરેપૂરી કોશિશ કરતા હતા. તોપણ તે જાણતા હતા કે અમુક સમયે તેમને જે ખરું છે એ કરવાનું મન નહિ થાય. પાઉલે પાકો નિર્ણય લીધો હતો કે ઇચ્છા ન હોય તોપણ તે પોતાનું સેવાકાર્ય પૂરું કરીને જ રહેશે. એવી જ રીતે, લાગણીઓને તમારા પર કાબૂ કરવા ન દો. મનમાં નક્કી કરી લો કે ઇચ્છા ન હોય તોપણ તમે જે ખરું છે એ જ કરશો. એમ કરતા રહેશો તો સમય જતાં તમારી લાગણીઓ બદલાશે. પછી તમે મન મારીને નહિ, પણ પૂરા દિલથી જે ખરું છે એ કરશો.—૧ કોરીં. ૯:૧૬. w૨૪.૦૩ ૧૧-૧૨ ¶૧૨-૧૩
ગુરુવાર, સપ્ટેમ્બર ૧૧
“તેઓને તમારા પ્રેમનો પુરાવો આપો.”—૨ કોરીં. ૮:૨૪.
આપણે ભાઈ-બહેનો સાથે દોસ્તી કરીએ અને તેઓ સાથે સમય વિતાવીએ. એમ કરીને બતાવી આપીએ કે આપણે તેઓને પ્રેમ કરીએ છીએ. (૨ કોરીં. ૬:૧૧-૧૩) ઘણાં મંડળોમાં એવાં ભાઈ-બહેનો છે, જેઓનો ઉછેર અલગ અલગ માહોલમાં થયો છે અને તેઓનો સ્વભાવ પણ અલગ અલગ છે. જો તેઓના સારા ગુણો પર ધ્યાન આપીશું, તો તેઓને વધારે પ્રેમ કરી શકીશું. યહોવાની જેમ ભાઈ-બહેનોમાં સારા ગુણો જોઈને બતાવી આપીએ છીએ કે, આપણે તેઓને ખૂબ પ્રેમ કરીએ છીએ. મોટી વિપત્તિ દરમિયાન પણ આપણે ભાઈ-બહેનોને પ્રેમ બતાવવો પડશે. મોટી વિપત્તિ શરૂ થશે ત્યારે યહોવા કઈ રીતે આપણું રક્ષણ કરશે? ધ્યાન આપો કે પ્રાચીન સમયમાં જ્યારે બાબેલોન પર હુમલો કરવામાં આવ્યો, ત્યારે યહોવાએ પોતાના લોકોને કયું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તેઓને કહ્યું હતું: “ઓ મારા લોકો, તમારા અંદરના ઓરડાઓમાં જાઓ અને બારણાં બંધ કરી દો. કોપ પૂરો થાય ત્યાં સુધી થોડી વાર સંતાઈ રહો.” (યશા. ૨૬:૨૦) બની શકે કે, મોટી વિપત્તિ દરમિયાન કદાચ યહોવાના લોકોએ પણ એવું જ કરવું પડે. w૨૩.૦૭ ૬-૭ ¶૧૪-૧૬
શુક્રવાર, સપ્ટેમ્બર ૧૨
“આ દુનિયાનું દૃશ્ય બદલાઈ રહ્યું છે.”—૧ કોરીં. ૭:૩૧.
તમારી શાખ વાજબી વ્યક્તિ તરીકેની હોય. પોતાને પૂછો: ‘લોકો મારા વિશે શું વિચારે છે? શું હું વાજબી છું? શું હું નમવા કે ફેરફારો કરવા તૈયાર છું? કે પછી લોકો મને કઠોર અને જિદ્દી સમજે છે? શું હું તેઓની વાત સાંભળું છું અને યોગ્ય હોય ત્યારે તેઓની વાત માનું છું?’ જેટલા વધારે વાજબી હોઈશું, એટલું વધારે યહોવા અને ઈસુનું અનુકરણ કરી શકીશું. સંજોગો બદલાય ત્યારે વાજબી બનવાની જરૂર છે, એટલે કે સંજોગો પ્રમાણે પોતાને ઢાળવાની જરૂર છે. અમુક ફેરફારોને લીધે આપણા સામે એવી મુશ્કેલી આવે, જેના વિશે વિચાર્યું પણ ન હોય. કદાચ અચાનક તબિયત બગડી જાય. અથવા આર્થિક કે રાજકીય ફેરફારોને લીધે રાતોરાત આપણું જીવન અઘરું બની જાય. (સભા. ૯:૧૧) એવું પણ બને કે યહોવાની સેવામાં આપણી સોંપણી બદલાઈ જાય. જો આ ચાર પગલાં ભરીશું, તો નવા સંજોગોમાં પોતાને ઢાળવા સહેલું થઈ જશે: (૧) હકીકત સ્વીકારો, (૨) પહેલાં જે કરી શકતા હતા એનો વિચાર કરવાને બદલે હમણાં શું કરી શકો છો એના પર ધ્યાન આપો, (૩) સારી વાતો પર મન લગાડો અને (૪) બીજાઓ માટે કંઈક કરો. w૨૩.૦૭ ૨૧-૨૨ ¶૭-૮