કોલોસીઓ
૩ જો તમને ખ્રિસ્ત સાથે મરણમાંથી ઉઠાડવામાં આવ્યા હોય, તો સ્વર્ગની વાતોને શોધતા રહો, જ્યાં ખ્રિસ્ત ઈશ્વરના જમણા હાથે બેઠેલા છે. ૨ સ્વર્ગની વાતો પર મન લગાડેલું રાખો, પૃથ્વી પરની વાતો પર નહિ. ૩ કેમ કે તમે મરણ પામ્યા અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ખ્રિસ્ત સાથે તમારું જીવન સંતાડી રાખવામાં આવ્યું છે. ૪ જ્યારે ખ્રિસ્ત જે આપણું જીવન છે, તેમને પ્રગટ કરવામાં આવશે, ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ કરાશો.
૫ તેથી, તમારા શરીરના અવયવોને* મારી નાખો, જેમાં આવી ખોટી ઇચ્છાઓ પેદા થાય છે: વ્યભિચાર,* અશુદ્ધતા, બેકાબૂ જાતીય વાસના, લાલસા અને લોભ, જે મૂર્તિપૂજા છે. ૬ એ બધાને કારણે ઈશ્વરનો ક્રોધ આવી રહ્યો છે. ૭ અગાઉ તમે પોતે પણ જીવનમાં* એવાં જ કામો કરતાં હતાં.* ૮ પરંતુ, હવે તમે આ બધું તમારામાંથી દૂર કરો: ક્રોધ, ગુસ્સો, દુષ્ટતા, અપમાનજનક બોલી અને મોંમાંથી નીકળતી અશ્લીલ વાતો. ૯ એકબીજા સાથે જૂઠું ન બોલો. જૂના સ્વભાવને* એની આદતો સાથે ઉતારી નાખો ૧૦ અને નવો સ્વભાવ પહેરી લો, જે એને રચનારના સ્વભાવ પ્રમાણે ખરા જ્ઞાનથી નવો કરાતો જાય છે. ૧૧ એ સ્વભાવ પ્રમાણે કોઈ ગ્રીક કે કોઈ યહુદી નથી, સુન્નત કરાયેલો કે સુન્નત વગરનો નથી, પરદેશી નથી, સિથિયન* નથી, ગુલામ કે આઝાદ નથી; પરંતુ, ખ્રિસ્ત સર્વ છે અને સર્વમાં છે.
૧૨ એ જ પ્રમાણે, ઈશ્વરના પસંદ કરાયેલા, પવિત્ર અને વહાલા લોકો તરીકે કરુણા, દયા, નમ્રતા,* કોમળતા અને ધીરજ પહેરી લો. ૧૩ એકબીજાનું સહન કરો અને જો કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ હોય, તોપણ એકબીજાને દિલથી માફ કરો. જેમ યહોવાએ* તમને દિલથી માફ કર્યા, તેમ તમે પણ કરો. ૧૪ એ સર્વ ઉપરાંત, તમે પ્રેમ પહેરી લો, કેમ કે એ એકતાનું સંપૂર્ણ બંધન છે.
૧૫ તેમ જ, ખ્રિસ્તની શાંતિ તમારા હૃદયો પર રાજ કરે,* કેમ કે તમને એક શરીરમાં એ શાંતિ પામવા બોલાવવામાં આવ્યા છે. અને તમે આભારી છો, એમ બતાવી આપો. ૧૬ ખ્રિસ્તનું વચન તમારામાં ભરપૂરપણે વસીને તમને સર્વ પ્રકારનું ડહાપણ આપે. ગીતો, ઈશ્વરની સ્તુતિ અને આભાર* સાથે ભક્તિ-ગીતો ગાઈને એકબીજાને શીખવતા રહો અને ઉત્તેજન* આપતા રહો. તમારા દિલોમાં યહોવા* માટે ગાતા રહો. ૧૭ તમે જે કંઈ કહો કે કરો, એ સર્વ પ્રભુ ઈસુના નામમાં કરો અને તેમના દ્વારા ઈશ્વર આપણા પિતાનો આભાર માનો.
૧૮ પત્નીઓ, તમારા પતિઓને આધીન રહો, કેમ કે પ્રભુના શિષ્યો માટે એ યોગ્ય છે. ૧૯ પતિઓ, તમારી પત્નીઓને પ્રેમ કરતા રહો અને તેઓ પર ગુસ્સાથી તપી ન જાઓ.* ૨૦ બાળકો, દરેક વાતમાં તમારાં માતાપિતાને આધીન રહો, કેમ કે એનાથી પ્રભુ ખુશ થાય છે. ૨૧ પિતાઓ, તમારાં બાળકોને ખીજવશો* નહિ, જેથી તેઓ નિરાશ ન થઈ જાય.* ૨૨ દાસો, બધી રીતે તમારા માલિકોને આધીન રહો; માણસોને ખુશ કરનારાઓની જેમ માલિક જોતા હોય ત્યારે જ નહિ,* પણ ખરા દિલથી અને યહોવાના* ડરને લીધે એમ કરો. ૨૩ માણસો માટે નહિ, પણ યહોવા* માટે કરતા હો એમ તમે જે કંઈ કરો એ પૂરા તન-મનથી* કરો, ૨૪ કેમ કે તમે જાણો છો કે યહોવા* પાસેથી જ તમને ઇનામ તરીકે વારસો મળશે. તમારા માલિક ખ્રિસ્તની સેવા કરો. ૨૫ જે કોઈ ખોટાં કામો કરે છે, તે ચોક્કસ એનું પરિણામ ભોગવશે અને ઈશ્વર કોઈ પક્ષપાત કરતા નથી.