બુધવાર, જુલાઈ ૩૦
“અમે જે જોયું છે અને સાંભળ્યું છે, એ વિશે અમે ચૂપ રહી શકતા નથી.”—પ્રે.કા. ૪:૨૦.
જો સરકાર પ્રચાર કરવાની ના પાડે, તોપણ આપણે ઈસુના શિષ્યોને અનુસરીને પ્રચાર કામ ચાલુ રાખી શકીએ. આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવા આપણને પ્રચાર કરવા મદદ કરશે. તેથી, આપણે યહોવાને હિંમત અને બુદ્ધિ માટે પ્રાર્થના કરી શકીએ. તેમ જ, મુશ્કેલીઓનો સામનો કરવા મદદ માંગી શકીએ. આપણામાંથી ઘણા લોકો બીમારી અથવા બીજા કોઈ કારણે નિરાશ છે. બની શકે કે આપણે કોઈ સ્નેહીજનને ગુમાવ્યું હોય, કુટુંબમાં કોઈ તકલીફ હોય, વિરોધ થઈ રહ્યો હોય અથવા બીજી કોઈ મુશ્કેલી હોય. અધૂરામાં પૂરું, મહામારી અને યુદ્ધોના લીધે એ મુશ્કેલીઓ સહેવી ઘણી અઘરી થઈ ગઈ છે. એવામાં યહોવાને દિલ ખોલીને વાત કરો. જેમ તમે તમારા પાકા મિત્રને દિલની બધી જ વાત જણાવો છો, તેમ યહોવાને જણાવો કે તમારા પર શું વીતી રહ્યું છે, તમે કેવું અનુભવી રહ્યા છો. પૂરો ભરોસો રાખો કે યહોવા ‘તમારા માટે પગલાં ભરશે.’ (ગીત. ૩૭:૩, ૫) પ્રાર્થના કરતા રહેવાથી “મુસીબતો આવે ત્યારે ધીરજથી સહન” કરી શકીશું. (રોમ. ૧૨:૧૨) યહોવા જાણે છે કે તેમના ભક્તો પર શું વીતી રહ્યું છે. તે તેઓની ‘મદદનો પોકાર સાંભળે’ છે.—ગીત. ૧૪૫:૧૮, ૧૯. w૨૩.૦૫ ૫-૬ ¶૧૨-૧૫
ગુરુવાર, જુલાઈ ૩૧
“ઈશ્વરને શું પસંદ છે, એ પારખતા રહો.”—એફે. ૫:૧૦.
મહત્ત્વના નિર્ણયો લેતી વખતે શું કરી શકીએ? “યહોવાની ઇચ્છા શી છે” એ પારખીએ અને એ પ્રમાણે કામ કરીએ. (એફે. ૫:૧૭) પોતાના સંજોગોને લાગુ પડે એવા બાઇબલ સિદ્ધાંતો શોધીએ. એમ કરીને તો આપણે ઈશ્વરના વિચારો જાણવાની કોશિશ કરીએ છીએ. પછી એ સિદ્ધાંતો લાગુ પાડીએ. આમ આપણે સારા નિર્ણયો લઈ શકીએ છીએ. આપણો દુશ્મન ‘શેતાન’ બહુ દુષ્ટ છે. (૧ યોહા. ૫:૧૯) તે ચાહે છે કે આપણે આ દુનિયાનાં કામોમાં એટલા વ્યસ્ત થઈ જઈએ કે યહોવાની સેવા માટે સમય જ ન બચે. એક ઈશ્વરભક્ત સહેલાઈથી એ જાળમાં ફસાઈ શકે છે. બની શકે કે તે પૈસા કમાવામાં, વધારે ભણવામાં અથવા નોકરી-ધંધામાં એટલો ડૂબી જાય કે યહોવાની સેવા બાજુએ રહી જાય. જો કોઈ ઈશ્વરભક્ત એવું કરે, તો એનાથી દેખાઈ આવશે કે તે દુનિયાના લોકોની જેમ વિચારે છે. ખરું કે, એ બધામાં કંઈ ખોટું નથી, પણ એ બધું આપણા જીવનમાં પહેલું સ્થાન ન લઈ લે, એનું ધ્યાન રાખવું જોઈએ. w૨૪.૦૩ ૨૪ ¶૧૬-૧૭
શુક્રવાર, ઑગસ્ટ ૧
“સાચા માર્ગે ચાલનારે ઘણાં દુઃખો સહેવાં પડે છે, પણ યહોવા તેને બધાં દુઃખોમાંથી છોડાવે છે.”—ગીત. ૩૪:૧૯.
ઉપર આપેલા ગીતમાં આપણને બે મહત્ત્વની વાત જાણવા મળે છે: (૧) સાચા માર્ગે ચાલનારે મુશ્કેલીઓ સહેવી પડે છે. (૨) યહોવા આપણને મુશ્કેલીઓમાંથી છોડાવે છે. તે એવું કઈ રીતે કરે છે? એક રીત છે કે તે મુશ્કેલીઓ આવે ત્યારે આપણને યોગ્ય વિચારો રાખવા મદદ કરે છે. શું યહોવાએ એવું વચન આપ્યું છે કે તે આપણા પર ક્યારેય મુશ્કેલીઓ આવવા નહિ દે? ના, તેમણે તો એવું વચન આપ્યું છે કે તેમની ભક્તિ કરવાથી આપણને ખુશી મળશે. (યશા. ૬૬:૧૪) યહોવા ચાહે છે કે આપણે ભાવિનો વિચાર કરીએ, જ્યારે આપણે દુઃખ-દર્દ વગર હંમેશ માટે જીવીશું. (૨ કોરીં. ૪:૧૬-૧૮) પણ એ સમય આવે ત્યાં સુધી યહોવા આપણને દરરોજ ભક્તિમાં લાગુ રહેવા મદદ કરે છે. (ય.વિ. ૩:૨૨-૨૪) બાઇબલ સમયના અને આજના સમયના વફાદાર ઈશ્વરભક્તો પાસેથી આપણે શું શીખી શકીએ? અમુક વાર આપણા જીવનમાં અણધાર્યા સંજોગો આવી શકે છે. પણ યહોવા પર આધાર રાખીશું તો, તે આપણને નિભાવી રાખશે.—ગીત. ૫૫:૨૨. w૨૩.૦૪ ૧૪-૧૫ ¶૩-૪