મંગળવાર, જુલાઈ ૨૯
“મેં તને પસંદ કર્યો છે.”—લૂક ૩:૨૨.
આપણને એ જાણીને કેટલી રાહત મળે છે કે યહોવાની કૃપા તેમના બધા સેવકો પર છે. બાઇબલમાં લખ્યું છે: “યહોવા પોતાના લોકોથી રાજી થાય છે.” (ગીત. ૧૪૯:૪) જોકે, ક્યારેક ક્યારેક અમુક ઈશ્વરભક્તો એટલા નિરાશ થઈ જાય છે કે તેઓ વિચારવા લાગે: ‘શું યહોવા મારાથી ખુશ છે?’ બાઇબલ સમયના ઘણા ઈશ્વરભક્તોને અમુક વાર એવું જ લાગ્યું હતું અને તેઓ નિરાશ થઈ ગયા હતા. (૧ શમુ. ૧:૬-૧૦; અયૂ. ૨૯:૨, ૪; ગીત. ૫૧:૧૧) બાઇબલમાંથી સાફ જોવા મળે છે કે કાળાં માથાંના માનવીઓ પણ યહોવાની કૃપા મેળવી શકે છે અથવા તેમને ખુશ કરી શકે છે. કઈ રીતે? ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા મૂકીને અને બાપ્તિસ્મા લઈને. (યોહા. ૩:૧૬) એમ કરીને બીજાઓને બતાવી આપીએ છીએ કે આપણે પાપનો પસ્તાવો કર્યો છે અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવાનું તેમને વચન આપ્યું છે. (પ્રે.કા. ૨:૩૮; ૩:૧૯) યહોવા સાથે સંબંધ કેળવવા જ્યારે એ બધાં પગલાં ભરીએ છીએ, ત્યારે તેમને બહુ ખુશી થાય છે. આપણે જ્યાં સુધી સમર્પણના વચન પ્રમાણે જીવવા બનતું બધું કરીશું, ત્યાં સુધી યહોવાની કૃપા આપણાં માથે રહેશે અને તે આપણને તેમના પાકા મિત્ર ગણશે.—ગીત. ૨૫:૧૪. w૨૪.૦૩ ૨૬ ¶૧-૨
બુધવાર, જુલાઈ ૩૦
“અમે જે જોયું છે અને સાંભળ્યું છે, એ વિશે અમે ચૂપ રહી શકતા નથી.”—પ્રે.કા. ૪:૨૦.
જો સરકાર પ્રચાર કરવાની ના પાડે, તોપણ આપણે ઈસુના શિષ્યોને અનુસરીને પ્રચાર કામ ચાલુ રાખી શકીએ. આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવા આપણને પ્રચાર કરવા મદદ કરશે. તેથી, આપણે યહોવાને હિંમત અને બુદ્ધિ માટે પ્રાર્થના કરી શકીએ. તેમ જ, મુશ્કેલીઓનો સામનો કરવા મદદ માંગી શકીએ. આપણામાંથી ઘણા લોકો બીમારી અથવા બીજા કોઈ કારણે નિરાશ છે. બની શકે કે આપણે કોઈ સ્નેહીજનને ગુમાવ્યું હોય, કુટુંબમાં કોઈ તકલીફ હોય, વિરોધ થઈ રહ્યો હોય અથવા બીજી કોઈ મુશ્કેલી હોય. અધૂરામાં પૂરું, મહામારી અને યુદ્ધોના લીધે એ મુશ્કેલીઓ સહેવી ઘણી અઘરી થઈ ગઈ છે. એવામાં યહોવાને દિલ ખોલીને વાત કરો. જેમ તમે તમારા પાકા મિત્રને દિલની બધી જ વાત જણાવો છો, તેમ યહોવાને જણાવો કે તમારા પર શું વીતી રહ્યું છે, તમે કેવું અનુભવી રહ્યા છો. પૂરો ભરોસો રાખો કે યહોવા ‘તમારા માટે પગલાં ભરશે.’ (ગીત. ૩૭:૩, ૫) પ્રાર્થના કરતા રહેવાથી “મુસીબતો આવે ત્યારે ધીરજથી સહન” કરી શકીશું. (રોમ. ૧૨:૧૨) યહોવા જાણે છે કે તેમના ભક્તો પર શું વીતી રહ્યું છે. તે તેઓની ‘મદદનો પોકાર સાંભળે’ છે.—ગીત. ૧૪૫:૧૮, ૧૯. w૨૩.૦૫ ૫-૬ ¶૧૨-૧૫
ગુરુવાર, જુલાઈ ૩૧
“ઈશ્વરને શું પસંદ છે, એ પારખતા રહો.”—એફે. ૫:૧૦.
મહત્ત્વના નિર્ણયો લેતી વખતે શું કરી શકીએ? “યહોવાની ઇચ્છા શી છે” એ પારખીએ અને એ પ્રમાણે કામ કરીએ. (એફે. ૫:૧૭) પોતાના સંજોગોને લાગુ પડે એવા બાઇબલ સિદ્ધાંતો શોધીએ. એમ કરીને તો આપણે ઈશ્વરના વિચારો જાણવાની કોશિશ કરીએ છીએ. પછી એ સિદ્ધાંતો લાગુ પાડીએ. આમ આપણે સારા નિર્ણયો લઈ શકીએ છીએ. આપણો દુશ્મન ‘શેતાન’ બહુ દુષ્ટ છે. (૧ યોહા. ૫:૧૯) તે ચાહે છે કે આપણે આ દુનિયાનાં કામોમાં એટલા વ્યસ્ત થઈ જઈએ કે યહોવાની સેવા માટે સમય જ ન બચે. એક ઈશ્વરભક્ત સહેલાઈથી એ જાળમાં ફસાઈ શકે છે. બની શકે કે તે પૈસા કમાવામાં, વધારે ભણવામાં અથવા નોકરી-ધંધામાં એટલો ડૂબી જાય કે યહોવાની સેવા બાજુએ રહી જાય. જો કોઈ ઈશ્વરભક્ત એવું કરે, તો એનાથી દેખાઈ આવશે કે તે દુનિયાના લોકોની જેમ વિચારે છે. ખરું કે, એ બધામાં કંઈ ખોટું નથી, પણ એ બધું આપણા જીવનમાં પહેલું સ્થાન ન લઈ લે, એનું ધ્યાન રાખવું જોઈએ. w૨૪.૦૩ ૨૪ ¶૧૬-૧૭